Amit Shah Gujarat Visit Live: અમિત શાહે પીએમ મોદીના વતન વડનગરથી બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, કહ્યું- એક પણ દિવસ એવો નથી કે તેમણે 16-18 કલાક કામ ન કર્યું હોય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છેકે, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમના પૈતૃક ગામ - એટલે કે તેમના જન્મસ્થળની મુલાકાત લેવી એ મારું સૌભાગ્ય છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 17 Sep 2026 10:50 AM (IST)Updated: Thu, 17 Sep 2026 11:11 AM (IST)
amit-shah-gujarat-visit-live-union-home-minister-speech-from-vadnagar-mehsana

Amit Shah Gujarat Visit Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સવારે બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આજે 17સપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' ઐતિહાસિક બાઈક સેવા યાત્રાના પ્રારંભ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન‘ની શરૂઆત થઇ છે.

વડાપ્રધાન મોદીએ 25 વર્ષથી પોતાને રાષ્ટ્ર સેવામાં સમર્પિત કર્યા

જનસભાને સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છેકે,, "વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના આપણા સંકલ્પને સાકાર કરવા માટે આપણને એવા અસંખ્ય યુવાનોની જરૂર છે. જેઓ આગામી ત્રણ પેઢીઓ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ પર ચાલીને 'ભારત પ્રથમ' (India First)ના મંત્રને સફળતાપૂર્વક આગળ ધપાવે. વડાપ્રધાન મોદીએ 25 વર્ષથી અવિરતપણે અને એક પણ દિવસની રજા લીધા વિના રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કર્યા છે. એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે તેમણે સતત 16 થી 16 કલાક કામ ન કર્યું હોય..."

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા નીતિને લગતી અસ્પષ્ટતા દૂર કરી. તેમણે સુશાસનની સ્થાપના અને સ્વચ્છ વહીવટ સુનિશ્ચિત કરીને અનિયમિતતાઓ, કૌભાંડો અને ભ્રષ્ટાચારના મુદ્દાઓનો સામનો કર્યો. પ્રથમ વખત, લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરતી વખતે કોઈ વડાપ્રધાને પોતાને 'પ્રધાન સેવક' તરીકે ઓળખાવ્યા અને આમ કરીને બંધારણની સાચી ભાવનાને જાળવી રાખી.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ સમયગાળા દરમિયાન 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ 80 કરોડ લોકોને આવાસ, વીજળી, નળ દ્વારા પાણીનું જોડાણ, દર મહિને મફત અનાજ (પ્રતિ વ્યક્તિ 5 કિલો), 5 લાખ રૂપિયા સુધીની તબીબી સહાય, શૌચાલય અને ગેસ સિલિન્ડર સફળતાપૂર્વક પૂરા પાડ્યા છે.

તેમના જન્મસ્થળની મુલાકાત લેવી એ મારું સૌભાગ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છેકે, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમના પૈતૃક ગામ - એટલે કે તેમના જન્મસ્થળની મુલાકાત લેવી એ મારું સૌભાગ્ય છે. આજે હું હાટકેશ્વર મહાદેવના ચરણોમાં વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. અહીંથી ટૂંક સમયમાં એક યાત્રા શરૂ થવા જઈ રહી છે. 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે, આ યાત્રા વડનગરથી વારાણસી સુધીની રહેશે. કુલ 600 બાઈકર્સ - જેમાં 300અહીંથી અને અન્ય 300 આજે વારાણસીથી શરૂઆત કરશે - સાત રાજ્યોમાંથી પસાર થશે અને અનેક ગામોમાં જઈને વડાપ્રધાનની ૨૫ વર્ષની સેવાના સંદેશનો પ્રસાર કરશે... દેશને આઝાદી મળી ત્યારથી, અન્ય કોઈ રાજકારણીએ રાજ્યના નેતા અને રાષ્ટ્રીય નેતા તરીકે સતત 25 વર્ષ સુધી સેવા કરવાનો રેકોર્ડ બનાવ્યો નથી.

યાત્રા  દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1159 જેટલાં ગામડાંઓમાંથી પસાર થશે

આ વિશાળ યાત્રાના સ્વરૂપ અને વ્યાપની વાત કરીએ તો, તે માત્ર બે સ્થળો વચ્ચેનો પ્રવાસ નથી પરંતુ આ યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1159 જેટલાં ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે 40 હજાર કિલોમીટરનું અંતર કાપશે. વડનગર અને વારાણસી એમ બંને દિશામાંથી શરૂ થનારી આ બાઈક સેવા યાત્રામાં 10 અલગ ગ્રુપમાં ગ્રુપ દીઠ 25 બાઈક પર 50 સેવા યાત્રીઓ જોડાશે. વડનગર થી વારાણસીની યાત્રામાં 250 બાઈક પર 500 સેવા યાત્રીઓ તેમજ વારાણસી થી વડનગરની યાત્રામાં પણ 250 બાઈક પર 500 સેવા યાત્રીઓ સહભાગી થશે. આ રીતે દેશભરમાંથી કુલ 1 હજાર જેટલા યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. દરેક ટુકડી 10 અલગ અલગ રૂટ પરથી પસાર થશે. 7 ઓક્ટોબરના દિવસે જ્યારે નરેન્દ્ર મોદીને જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના છે તે દિવસે આ યાત્રાનું સમાપન થશે.