Girnar lili Parikrama: ગિરનારની ૩6 કિલોમીટરની લીલી પરીક્રમાનો ઇન્દ્રેશ્વરભારતી બાપુ ગેઇટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિવત પૂજન કરીને પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવિકોના ઘસારાને ધ્યાને રાખીને સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલી નખાયો હતો. અને રાતના 8 વાગ્યા સુધીના 20 કલાક દરમિયાન સાતેક લાખ ભાવિકોએ વિધિવત આરંભ પૂર્વે પ્રવેશ કર્યો હતો.
સાત લાખ ભાવિકો આવ્યા
જે પૈકીના ચાર લાખ ભાવિકો હાલ તળેટીથી લઈને પરીક્રમાના રૂટ ઉપર છે, જયારે બાકીના ત્રણેક લાખ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી દીધી છે. દિવસ દરમિયાન સવારથી બપોર સુધી ભાવિકોનો ઘસારો ઓછો રહ્યો હતો, કારણ કે, વાતાવરણમાં ગરમી અને તડકો હોવાથી દિવસ દરમિયાન ઘસારો ઓછો હતો, પરંતુ બપોર પછી ભાવિકોનો પ્રવાહ વધતા સાંજ સુધીમાં લાખો ભાવિકો તળેટી તરફ આવતા નજરે ચડ્યા છે. રસ્તામાં અન્નક્ષેત્રમાં હરી હરના સાદ સાથે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છવાયો છે.
50 રૂપિયામાં મોબાઇલ ચાર્જ
આ વર્ષે પણ લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવા આવ્યા છે. ભાવિકો પોતાના મોબાઇલમાં પરિક્રમાનો માહોલ હંમેશા માટે કેદ કરવા મોબાઇલમાં શુટિંગ અને ફોટો ક્લિક કરતા હોય છે, ત્યારે અંદર મોબાઇલ ચાર્જ કરવા માટે એક દુકાન જોવા મળી હતી. જે જનરેટરના સહારે 50 રૂપિયામાં મોબાઇલ ચાર્જ કરી આપે છે, અને તેના માટે મોટી લાઇનો પણ લાગે છે.
અનેક લોકો પરિવારથી વિખુટા પડ્યા
છેલ્લા બે દિવસમાં પરિક્રમા દરમિયાન 6 બાળકો, 23 મહિલાઓ, 14 વૃદ્ધ સહિત અંદાજે 43 પરિક્રમાર્થીઓ પરિવારથી વિખૂટા પડ્યા છે. જેમાંથી 4 બાળકો, 13 મહિલાઓ અને 12 વૃધ્ધનો પતો મેળવીને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
