Junagadh: ગિરનાર પરિક્રમા મોકૂફ છતાં ભવનાથમાં અભૂતપૂર્વ ભીડ, અંબાજી-દત્ત શિખરે માનવ મેદની, ત્રણ દિવસ બાદ ગિરનાર રોપ-વે સેવા ફરી શરૂ થતાં યાત્રિકોને રાહત

વરસાદી માહોલ અને પ્રતિકૂળતાઓને અવગણીને, શ્રદ્ધાળુઓએ ભક્તિની લાગણીને અખંડ જાળવી રાખી છે, જેના પરિણામે ગિરનાર પર્વત પર ભક્તોની અવિરત ભીડ જોવા મળી રહી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 02 Nov 2025 09:20 AM (IST)Updated: Thu, 06 Nov 2025 10:23 AM (IST)
junagadh-massive-crowd-at-bhavnath-despite-girnar-parikrama-postponement-ropeway-service-resumes-after-three-days
HIGHLIGHTS
  • સામાન્ય રીતે લાખો ભાવિકો પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ગિરનારના પગથિયાં ચડીને અંબાજી અને દત્ત શિખરના દર્શન કરે છે.
  • આ વર્ષે પરિક્રમા મોકૂફ હોવા છતાં, ભવનાથ ક્ષેત્રમાં સવારથી જ યાત્રિકો અને પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Junagadh News: કમોસમી વરસાદના કારણે આ વર્ષે ગિરનારની ઐતિહાસિક અને પવિત્ર લીલી પરિક્રમા મધરાતથી શરૂ થતા પહેલા જ મોકૂફ રાખવાની ફરજ પડી હતી, છતાં પણ ભાવિકોની આસ્થાનો પ્રવાહ રોકાયો નથી. વરસાદી માહોલ અને પ્રતિકૂળતાઓને અવગણીને, શ્રદ્ધાળુઓએ ભક્તિની લાગણીને અખંડ જાળવી રાખી છે, જેના પરિણામે ગિરનાર પર્વત પર ભક્તોની અવિરત ભીડ જોવા મળી રહી છે.

પરિક્રમા રદ, ઉત્સાહ અકબંધ

સામાન્ય રીતે લાખો ભાવિકો પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ગિરનારના પગથિયાં ચડીને અંબાજી અને દત્ત શિખરના દર્શન કરે છે. આ વર્ષે પરિક્રમા મોકૂફ હોવા છતાં, ભવનાથ ક્ષેત્રમાં સવારથી જ યાત્રિકો અને પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પગથિયાં માર્ગે ગિરનાર ચડતા હજારો યાત્રિકોના કારણે પર્વત પર અસામાન્ય ભીડનો નજારો સર્જાયો છે. અંબાજી મંદિર પરિસરમાં એટલી હકડેઠઠ ગિરદી જોવા મળી હતી કે ભક્તો માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેવી જ રીતે, દત્તપદ શિખર તરફના માર્ગો પર પણ ભક્તોની લાંબી કતારો લાગી હતી.

રોપ-વે ફરી શરૂ, યાત્રિકોને મોટી રાહત

છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન અને વરસાદી વાતાવરણને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી, જેના કારણે ઘણા યાત્રિકોને મુશ્કેલી પડી હતી. જોકે, આજે હવામાન સુધરતાં રોપ-વે સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થતાં જ અનેક ભાવિકો તેનો લાભ લઈને ઝડપથી ગિરનાર શિખર પર પહોંચી રહ્યા છે. તેમ છતાં, પગથિયાં માર્ગે ચડતા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ જરાય ઓછી થઈ નથી. ભવનાથ તળેટીમાં વાહનોની લાંબી કતારો, ખાણી-પીણીના સ્ટોલ્સ પર ભીડ અને ભક્તોનો મેળો - આ દ્રશ્યો દર્શાવે છે કે પરિક્રમા મોકૂફ હોવા છતાં લોકોની આસ્થા કેટલી મજબૂત છે.

તંત્ર દ્વારા સુરક્ષા અને નિયંત્રણના પ્રબંધો

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભાવિકોના આ અખંડ પ્રવાહને ધ્યાનમાં રાખીને ભીડ નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા અને સ્વચ્છતાના વિશેષ પ્રબંધો કરવામાં આવ્યા છે. પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે, અને રોપ-વે સંચાલકોએ પણ યાત્રિકો માટે સુરક્ષિત સેવા સુનિશ્ચિત કરી છે. ભક્તોનો આ ઉત્સાહ સાબિત કરે છે કે ભક્તિની જ્યોતને કોઈ કુદરતી પ્રતિકૂળતા ઓલવી શકતી નથી.