લોકડાયરામાં નોટોનો આવો વરસાદ નહીં જોયો હોય! માયાભાઈ રૂપિયા નીચે ઢંકાઈ ગયા; જુઓ VIDEO

આ ડાયરામાં એકત્ર થયેલ ભંડોળ આહિર કન્યા છાત્રાલયના નિર્માણમાં વપરાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 15 May 2026 12:48 PM (IST)Updated: Sat, 16 May 2026 01:07 PM (IST)
gujarati-singer-mayabhai-ahir-covered-in-currency-notes-during-dayro-in-junagadh-video
HIGHLIGHTS
  • ખંભાળિયાના ડાયરામાં ઉડી લાખોની નોટો
  • ભંડોળનું આહિર કન્યા છાત્રાલયમાં દાન થશે

Khambhaliya Lok Dayro: જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામમાં ગુરુવારની રાત્રે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્કૃતિ અને સખાવતનો એક અનોખો સમન્વય જોવા મળ્યો હતો. ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ આ લોકડાયરામાં લોકગાયકો પર ચલણી નોટોનો એટલો વરસાદ કરવામાં આવ્યો કે કલાકાર નોટોના ઢગલા નીચે ઢંકાઈ ગયા હતા. 

ભાગવત સપ્તાહમાં લોકડાયરાની જમાવટ

માહિતી અનુસાર, ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આ રાત્રી લોકડાયરો યોજાયો હતો. ડાયરામાં જાણીતા ગાયક કલાકાર માયાભાઈ આહીર અને ગોપાલભાઈ જ્યારે પોતાની પ્રસ્તુતિ રજૂ કરી, ત્યારે તેમના સુરમાં ભાવિકો અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને આખો પંથક હિલોળે ચડ્યો હતો.

ચલણી નોટોના ઢગલામાં ઢંકાઈ ગયા કલાકાર 

આ લોકડાયરામાં લોકોએ ઉડાવેલી ચલણી નોટોના ઢગલા નીચે કલાકાર ઢંકાઈ ગયા હતા. આ દાન અને લોકડાયરાની જમાવટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો આ સખાવતી કાર્યને બિરદાવી રહ્યા છે. લોકોના ઉત્સાહ વચ્ચે સ્ટેજ પરથી 10, 20, 100 અને 500 રૂપિયાની ચલણી નોટોનો વરસાદ શરૂ થઈ ગયો હતો, જેનાથી આખું સ્ટેજ ઉભરાઈ ગયું હતું.

તમામ ભંડોળનું આહીર ચેરીટેબલ ટ્રસ્ટને દાન 

ગુજરાતના લોકડાયરાઓમાં કલાકારો પર ચલણી નોટો ઉડાવવાની પરંપરા જૂની છે, પરંતુ ખંભાળિયાના આ ડાયરા પાછળનો હેતુ અત્યંત ઉમદા અને પ્રેરણાદાયક છે. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે, આ ડાયરામાંથી જેટલું પણ ભંડોળ એકત્ર થયું છે, તેમાંથી કાર્યક્રમનો વહીવટ અને સંચાલનનો ખર્ચ બાદ કરીને બાકીની તમામ રકમ 'આહીર ચેરીટેબલ ટ્રસ્ટ' ને સોંપવામાં આવશે.

અમદાવાદમાં બનશે 'આહિર કન્યા છાત્રાલય'

આ ભંડોળ અને મળેલા દાનનો સદ્ઉપયોગ દીકરીઓના શિક્ષણ માટે કરવામાં આવશે. આ રકમથી અમદાવાદ ખાતે 'ગુજરાત આહિર કન્યા છાત્રાલય' (Ahir Girls Hostel) અને એક અદ્યતન શૈક્ષણિક સંકુલનું બાંધકામ કરવામાં આવનાર છે. દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ સખાવતી ડાયરાના પ્રયાસોની આખા પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.