Gujarat Elections: જામજોધપુરમાં સિઝેરિયન કર્યા પછીના 2 દિવસમાં માતાએ કર્યું મતદાન, કહ્યું- મારા બાળકના ભાવિને મારા મત વડે લખ્યું

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Thu, 01 Dec 2022 02:57 PM (IST)Updated: Thu, 01 Dec 2022 06:19 PM (IST)
gujarat-elections-2-days-after-caesarean-section-in-jamjodhpur-mother-casts-vote-says-my-childs-fate-is-written-with-my-vote

જામનગર. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના કારણે સમગ્ર ગુજરાત ચૂંટણીમય બની ગયું છે. જેમાં જનતાને મત આપવા અંગે જાગૃત કરવાના હેતુથી રાજ્યના ખૂણે ખૂણે મતદાન કરવાના સંકલ્પ તેમજ સંદેશા સહિત અપીલ કરવાના ઘણાય અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતુ.

રાજ્યના લગભગ મોટાભાગના દિવ્યાંગ મતદારો, સિનિયર સીટીઝન મતદારો અથવા જેઓ કોઇને કોઇ પોતાની શારીરિક સમસ્યાના કારણે પોલિંગ બુથ પર જઈ શકે એમ ન હોય તેવા અનેક મતદારોનું ચૂંટણી અધિકારીના અનોખા પ્રયાસ થકી ઘરે બેઠાં જ પોસ્ટલ બેલેટના માધ્યમ થકી મતદાન કરાવવામાં આવ્યું હતું. જેથી કરીને તેઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય નહીં અને પોતાનો મત તેઓ વગર અડચણે આપીને પોતાની ફરજ નિભાવી શકે તેમજ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની શકે.

naidunia_image

જામનગરના જામજોધપુરમાં રહેતાં એવાં જ એક મતદાતા બહેને પણ આજે વોટ કરીને સાચી નાગરિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રેયા હિતાર્થ વ્યાસે 29મી નવેમ્બરના રોજ સિઝેરિયન ડિલિવરી થકી એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મની ખુશી પરિવારમાં બેહદ હતી. માતા અને બાળક બન્નેનું સ્વાસ્થ્ય પણ સારુ હોવા છતાં શ્રેયાબેનને કંઈક ખૂટતું લાગ્યું અને તેમને ખ્યાલ આવ્યો કે તેમના અત્યારે જ જન્મેલા બાળકના ભવિષ્ય અંગેનો નિર્ણય લેવાનો સમય અને અવસર આવી ગયો હતો. જેથી કરીને તેઓ હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોતાના ફકત 2 જ દિવસના બાળકને મૂકીને તેનું ભાવિ નક્કી કરવા મતદાન મથકે પહોંચી જઈને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવી હતી.

તેઓ હોસ્પિટલમાંથી રજા મળતાં જ જામજોધપુરમાં મતદાન કરવા સીધા મતદાન મથક પર ગયા હતા.તેમનું કહેવું છે કે, "મતદાન એ યોગ્ય નેતા પસંદ કરવાનો મારો મૂળભૂત અધિકાર છે અને હું મારા દેશના એક જવાબદાર નાગરિક તરીકે તેને પૂર્ણ કરું છું. દરેક વ્યક્તિએ આ લોકશાહી પ્રક્રિયામાં હકારાત્મક રીતે સક્રિય હોય એવા નેતાને મત આપવો જોઈએ જેથી તે જનતાનું પ્રતિનિધિત્વ કરી શકે. મેં મારા બાળકનું ભાવિ મારા મત વડે લખ્યું."