Pavagadh News: પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. માતાજીના દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભક્તો ઉમટ્યા છે. ડુંગર પર આવેલા માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજા-અર્ચના અને દર્શન કરવા માટે વહેલી સવારના 4 વાગ્યાથી ભક્તોએ કતાર લાગવી હતી. દુઘિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની ભીડી જોવા મળી છે.
પાવગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી નિજ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા વચ્ચે ભક્તોએ અષ્ટમી દર્શનનો લ્હાવો લીધો હતો. હાલ ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અર્થે પાવાગઢ આવી રહ્યા છે.આજે આઠમાં નોરતે 2 લાખ ઉપરાંતના ભક્તોનું કીડિયારું પાવાગઢ ડુંગર ખાતે ઉભરાઈ આવ્યું હતું.
નોંધનીય છેકે, માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું આઠમા નવરાત્રીએ ભક્તોમાં ખાસુ મહત્વ છે. આ દિવસે અનેક સંઘો પગપાળા પાવાગઢ પહોંચે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આદિકાળીથી આઠમા નોરતે હવન અને યજ્ઞ કરી પૂજા આરાધના કરવામાં આવે છે. મહાકાળી મંદિર ટ્રસ્ટે વહેલી સવારથીજ માતાજીના હવનની તૈયારી શરૂ કરી દીધી હતી. આ હવનનો લાભ લેવા માટે તથા માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શન કરવા માટે ગત મોડી રાતથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. દુઘિયા તળાવના પગથિયાથી મંદિર સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી.
