Vijay Rupani Death: પૂર્વ CM વિજય રુપાણીના પુત્ર ઋષભ અમેરિકાથી વહેલી સવારે ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં અંતિમ વિધિની તૈયારી શરૂ

વિજય રૂપાણીના પુત્ર રુષભ આજે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર આવી પહોંચ્યા છે. ગઈકાલે જ તેમની દીકરી રાધિકા અને પત્ની અંજલિબેન લંડનથી ગુજરાત આવી ગયા હતા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 14 Jun 2025 11:40 AM (IST)Updated: Sat, 14 Jun 2025 11:55 AM (IST)
vijay-rupani-death-former-cm-vijay-rupanis-son-rishabh-reached-gandhinagar-from-america-early-in-the-morning

Vijay Rupani Death | વિજય રૂપાણીનું નિધન: અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો ગુજરાત પહોંચી ગયા છે. વિજય રૂપાણીના પુત્ર રુષભ આજે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર આવી પહોંચ્યા છે. ગઈકાલે જ તેમની દીકરી રાધિકા અને પત્ની અંજલિબેન લંડનથી ગુજરાત આવી ગયા હતા.

મહત્ત્વનું છે કે, ગઈકાલે ગૌતમ અદાણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના ઘરે આવ્યા હતા. અહીં તેમણે વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત અંજલિ રુપાણી અને દીકરી રાધિકા રુપાણી સાથે વાતચીત કરી તેમને શાંત્વના પાઠવી હતી.

આજે સવારે ભવ્ય ગાંધી (ટપુ) ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના ઘરે પહોંચ્યો હતો. અહીં તેમણે અંજલીબેન રુપાણી સાથે મુલાકાત કરીને વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ થશે. ત્યારે તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક DCP પૂજા યાદવ દ્વારા ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થાને લઈને બંદોબસ્તનું નિરીક્ષણ કરાયું છે. વિજય રૂપાણીના પુત્ર પણ રાજકોટ પહોંચશે તેવી માહિતી છે. ગઈકાલે અનેક રાજકીય નેતાઓએ ગાંધીનગર પહોંચી અંજલિબેનને સાંત્વના પાઠવી હતી.

પૂર્વ મુખ્યમંત્રીના અવસાનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છવાયો છે. આજના રોજ અડધો દિવસ ધંધા અને રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને તમામ વેપારીઓને બંધમાં સહભાગી થવાની અપીલ કરાઈ છે. સાથે જ, શહેરની તમામ ખાનગી શાળાઓ આજે બંધ રહેશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજનો દિવસ બંધ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. રાજકોટની 600થી વધુ ખાનગી શાળાઓ બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગત 12 જૂન 2025ના રોજ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 265 લોકોના જાન ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં બે પાઇલટ તેમજ 10 ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે.