Investment Plans At Vibrant Gujarat 2024: આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ઇવેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ દરમિયાન મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, તોશિહીરો સુઝુકી, માઇક્રોન ટેક્નોલોજીસ, ડી.પી. વર્લ્ડ દ્વારા ગુજરાતમાં રોકાણ સહિતની જાહેરાતો કરી હતી. સુઝુકીની પહેલી ઇવી કાર 2024માં ગુજરાતના પ્લાન્ટમાંથી રોલ્ડ આઉટ કરવામાં આવશે. રિલાયન્સ ગ્રૂપ હજીરામાં વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા ઉભી કરશે. અદાણી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે. સેમીકન્ડક્ટર પ્રથમ તબક્કો 2025ની શરૂઆતમાં કાર્યરત થશે અને ડી.પી. વર્લ્ડ કંડલામાં અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સ માટે રોકાણ અંગેની યોજના વિશે વાત કરી હતી.
હજીરામાં વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા ઉભી કરાશે
રિલાયન્સ ગ્રૂપના વડા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જામનગરમાં 5000 એકરનું ધીરૂભાઈ એનર્જી ગીગા કોમ્પલેક્ષ બની રહ્યું છે જે 2024ના ઉત્તરાર્ધમાં જ કાર્યરત થવા માટે તૈયાર થઈ જશે. 5Gના સૌથી ઝડપી રોલ આઉટને કારણે આજે ગુજરાત સંપૂર્ણપણે 5G સક્ષમ છે. આનાથી ગુજરાત ડિજિટલ ડેટા પ્લેટફોર્મ અને એઆઈ અપનાવવામાં અગ્રેસર બનશે. રિલાયન્સ રિટેલ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો લાવવા અને લાખો ખેડૂતો અને નાના વેપારીઓને મદદના પગલાને વિસ્તૃત કરશે. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ નવી સામગ્રી અને સર્ક્યુલર ઇકોનોમીમાં ગુજરાતને અગ્રેસર બનાવશે. આ જૂથ હજીરામાં વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપિત કરી રહ્યું છે. વડાપ્રધાનની 2036ના ઓલિમ્પિકની યજમાની માટેના ઇરાદાની જાહેરાત અનુસાર, રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં રમતગમત, શિક્ષણ અને કૌશલ્ય માળખાગત સુવિધામાં સુધારો કરવા માટે, પ્રયાસો કરવા માટે અન્ય કેટલાક ભાગીદારો સાથે જોડાશે.
સુઝુકી પોતાની પ્રથમ ઇવી કાર ગુજરાતમાં બનશે
સુઝુકીના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે સુઝુકી જૂથનું પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વાહન આ વર્ષના અંત સુધીમાં સુઝુકી મોટર ગુજરાતમાંથી બહાર પાડવામાં આવશે. અમે આ મોડલને માત્ર ભારતમાં જ નહીં પરંતુ જાપાન અને યુરોપિયન દેશોમાં પણ નિકાસ કરવાની યોજના ધરાવીએ છીએ.ભવિષ્યમાં અમારા બીઇવી ઉત્પાદનને વિસ્તૃત કરવા માટે, સુઝુકી ગ્રૂપ સુઝુકી મોટર ગુજરાતમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેથી નવી ચોથી ઉત્પાદન લાઇન ઉમેરવામાં આવે, જે દર વર્ષે 2.50 લાખ એકમોનું ઉત્પાદન કરી શકે. આનાથી સુઝુકી મોટર ગુજરાતની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન 7.5 લાખ યુનિટથી વધીને 10 લાખ યુનિટ થશે.
અદાણી ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુનું રોકાણ કરશે
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અગાઉ જાહેર કરેલ રાજ્યમાં 2025 સુધીમાં રૂ.55,000 કરોડના રોકાણ સામે અત્યાર સુધીમાં રૂ.50,000 કરોડનું રોકાણ થઈ ચૂક્યાની જાણકારી આપી હતી. તેમણે સ્વચ્છ ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇન તરફ વિસ્તરણ કરવા અને સૌર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રો ઇલેક્ટ્રોલાઇઝર્સ, ગ્રીન એમોનિયા, પીવીસી સહિત સૌથી મોટી સંકલિત પુનઃપ્રાપ્ય ઊર્જા ઇકોસિસ્ટમ ઊભી કરવા તથા કોપર અને સિમેન્ટ પ્રોજેક્ટ્સમાં વિસ્તરણ વિશે પણ વાત કરી હતી. તેમણે અદાણી ગ્રુપની ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના વિશે માહિતી આપી હતી, જેથી 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.
કંડલામાં અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સ બનાવાશે
ડી.પી. વર્લ્ડના ચેરમેન, સુલતાન અહમદ બિન સુલેયમે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મજબૂત નેતૃત્વ હેઠળ આ વૃદ્ધિ ચાલુ રહેશે. તેમણે ગતિશક્તિ જેવી રોકાણની પહેલને પણ શ્રેય આપ્યો જે ભારત અને ગુજરાતને આર્થિક પાવરહાઉસ તરીકેની તેમની સંભવિતતાને સમજવામાં મદદ કરશે. તેમણે ગુજરાતના કંડલા ખાતે 20 લાખ કન્ટેનરની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સના રોકાણ અને વિકાસ માટે ડીપી વર્લ્ડની યોજના વિશે માહિતી આપી હતી. તેમણે ભારત સરકાર સાથે દેશના લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ભાગીદારી કરવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી બનવાની તક આપવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
હજીરામાં સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ
આર્સેલરમિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે, આર્સેનલ મિત્તલ હજીરા ખાતે સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. જેનો પ્રથમ તબક્કો વર્ષ 2026માં પૂર્ણ થશે, જ્યારે બીજા તબક્કા માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ વર્ષ 2029 સુધીમાં પૂર્ણ થશે. તેમણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સિદ્ધાંતોમાં વડાપ્રધાનના વિશ્વાસ અને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર સાઉથ ગ્લોબલના અવાજને વૈશ્વિક સ્તરે મજબૂત કરવાના પ્રયાસોને વખાણ્યા હતા. દેશને આત્મનિર્ભર બનાવવા સ્ટીલના મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મિત્તલે વર્ષ 2021માં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હજીરા વિસ્તરણ પ્રોજેક્ટ શરૂ થયાને યાદ કરીને જાણકારી આપી હતી કે, પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ 2026ના નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થશે. તેમણે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ગ્રીન સેક્ટરમાં રોકાણ કરવા અંગે પણ વાત કરી.
સુઝુકી દ્વારા બાયોગેસ ઉત્પાદન શરૂ કરવામાં આવશે
સુઝુકીના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં ઓટોમોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો જોવા મળ્યો છે. ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર બની ગયું છે, એમ જણાવતાં શ્રી સુઝુકીએ દેશના આર્થિક વિકાસ પર વડાપ્રધાનના પ્રગતિશીલ અભિગમની અસર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઇથેનોલ, ગ્રીન હાઇડ્રોજન અને ગાયના છાણમાંથી બાયોગેસના ઉત્પાદન દ્વારા ગ્રીનહાઉસ ઉત્સર્જનને ઘટાડવામાં ફાળો આપવા ખાતરી આપી હતી. તેમણે સુઝુકી, ગ્રુપ રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને બનાસ ડેરી સાથે મળીને બાયોગેસ ઉત્પાદન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. સુઝુકી દ્વારા ગુજરાતમાં 4 બાયોગેસ પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેવાયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સેમીકન્ડક્ટર પ્રથમ તબક્કો 2025ની શરૂઆતમાં કાર્યરત થશે
માઇક્રોન ટેક્નોલોજીસ, યુએસએના સીઇઓ સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સેમીકન્ડક્ટર પાવર તરીકે ભારતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ વિઝનરી વિચારોને પ્રસ્તુત કરે છે તથા આ ક્ષેત્રમાં વૃદ્ધિની બહુવિધ તકો પર પ્રકાશ પણ પાડે છે. તેમણે આ સુવિધા માટે ટાટા પ્રોજેક્ટ્સ સાથે માળખાગત ભાગીદારીનો ઉલ્લેખ કરતાં ગુજરાતમાં વૈશ્વિક કક્ષાની મેમરી એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા સ્થાપિત કરવામાં મદદ કરવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, 5,00,000 ચોરસ ફૂટને આવરી લેતો પ્રથમ તબક્કો વર્ષ 2025ની શરૂઆતમાં કાર્યરત થઈ જશે, જેથી આગામી વર્ષોમાં 5,000 સીધી રોજગારી અને 15,000 વધારાની સામુદાયિક રોજગારીનું સર્જન થશે. તેમણે જણાવ્યું હતું કે, "બંને તબક્કાઓમાં માઇક્રોન અને સરકાર દ્વારા સંયુક્ત રોકાણ 2.75 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી શકે છે.
એસ્સાર જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટની સ્થાપના કરશે
વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનમાં એસ્સાર ગ્રૂપના પ્રમોટર ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ જણાવ્યું કે, અમે જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યા છીએ, અહીં અસ્તિત્વમાં રહેલા પાવર પ્લાન્ટનું વિસ્તરણ કરી રહ્યા છીએ અને બંદર વ્યવસાયનું વિસ્તરણ પણ કરી રહ્યા છીએ. છૂટક વેપારમાં, અમારી પાસે ટ્રક ઉદ્યોગને કાર્બન મુક્ત કરવા માટે એલ. એન. જી. ટ્રક અને ગતિશીલતા છે-અમે તેને સર્વિસ સ્ટેશનો સાથે સંપૂર્ણ સેવા આપવા માંગીએ છીએ.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
