Gandhinagar: ઝંકાર સ્કૂલ ઑફ ક્લાસિકલ ડાન્સેસ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં બે યુવા અને પ્રતિભાશાળી શિષ્યાઓ—કુમારી કાવ્યા જૈન અને કુમારી હીરવા ગોસ્વામી—ના ભરતનાટ્યમ આરંગેત્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પ્રતિભા વર્મા (સ્થાપક અને કલાત્મક નિદેશક)ના સઘન માર્ગદર્શન હેઠળ, આ કાર્યક્રમ ભરતનાટ્યમની શાશ્વત શાસ્ત્રીય પરંપરાનો ઉત્સવ બની રહ્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રિટાબહેન પટેલ, ગાંધીનગર શહેરના ભાજપ પ્રમુખ, આશિષ દવે ઉપસ્થિત રહ્યા હતા.
કાવ્યા અને હીરવાનો પરિચય
કાવ્યા જૈન અને હીરવા ગોસ્વામી બંને ગાંધીનગરની હિલવુડ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીનીઓ છે. બંને તેમના સર્જનાત્મકતા, શિસ્ત અને આનંદમય વ્યક્તિત્વ માટે જાણીતી છે. કાવ્યા જૈન બેડમિન્ટન અને સંગીતમાં રસ, ઉત્સાહી અને સંતુલિત સ્વભાવ છે. હીરવા ગોસ્વામી નૃત્ય સાથે ઇતિહાસમાં વિશેષ રુચિ, વિચારશીલ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે.
બંને યુવા કલાકારો આઠ વર્ષની નાની ઉંમરથી ગુરુ પ્રતિભા વર્માના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે. તેમના માતા-પિતા (નેહા અને સંજીવ જૈન તથા ડૉ. ધર્મિષ્ઠા અને ડૉ. કલ્પેશ ગોસ્વામી)ના સતત પ્રોત્સાહનથી તેઓ આત્મવિશ્વાસી કલાકારો તરીકે ખીલી ઉઠી છે.
ગુરુ અને પરંપરા: 20 વર્ષનો વારસો
ગુરુ પ્રતિભા વર્મા ગુરુ સુમા મોહનના સમર્પિત શિષ્યા છે. તેમણે 2004માં ગાંધીનગરમાં 'ઝંકાર સ્કૂલ ઑફ ક્લાસિકલ ડાન્સેસ'ની સ્થાપના કરી. છેલ્લા બે દાયકામાં તેમણે ભરતનાટ્યમ ઉપરાંત મોહિનીયાટ્ટમ, કથક, કેરળ નટનમ જેવી વિવિધ શૈલીઓમાં અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી છે.
ગુરુ સુમા મોહન નાટ્યાલય સ્કૂલ ઑફ ક્લાસિકલ ડાન્સેસ, ગાંધીધામના સ્થાપક અને નિદેશક છે, જેઓ નૃત્યજગતમાં પેઢી દર પેઢી પ્રેરણા આપતા રહ્યા છે.
આરંગેત્રમ્ એ વર્ષોની મહેનત અને સમર્પણનું ઔપચારિક પરિણામ હતું. કાવ્યા અને હીરવાએ કાર્યક્રમમાં ભરતનાટ્યમની પરંપરાગત પ્રસ્તુતિઓ રજૂ કરીને લય, અભિવ્યક્તિ અને ભાવના પરની તેમની કુશળતા દેખાડી હતી. મુખ્ય પ્રસ્તુતિઓમાં પુષ્પાંજલિ, ગણેશ સ્તુતિ, અલારિપ્પુ, જાતિસ્વરમ, શબદમ, પડમ, વર્ણમ, કીર્તનમ, શ્લોકમ, તિલ્લાના અને મંગલમ રજૂ કર્યા હતા.
નૃત્યાંગનાઓ અને સંગીત મંડળી વચ્ચેની સુંદર સમન્વયતાએ ઉપસ્થિત તમામ લોકોને ભારતીય શાસ્ત્રીય નૃત્યના ભક્તિમાં તરબોળ કર્યા હતા.
