Gandhinagar News: કરુણા અભિયાન થકી 1.03 લાખથી વધુ પક્ષીઓને જીવનદાન, ઉત્તરાયણમાં રેસ્ક્યુ કરાયેલા 91 ટકા પશુ-પક્ષીઓને જીવનદાન અપાયું

અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13,800થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં 4,400થી વધુ પશુઓ અને 9,300થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.

By: Rajendrasinh ParmarEdited By:Rajendrasinh ParmarPublish Date: Wed, 29 Jan 2025 05:02 PM (IST)Updated: Wed, 29 Jan 2025 05:02 PM (IST)
karuna-abhiyan-over-1-03-lakh-birds-saved-in-gujarat
HIGHLIGHTS
  • 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાયા હતા

Gandhinagar News: રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી 'કરૂણા અભિયાન'નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યભરમાં અંદાજે કુલ 17,086 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને 15,572 જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે.

આ કરુણાસભર પહેલના પરિણામે આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવેલા અબોલ પશુ-પક્ષીઓ પૈકી 91 ટકા જેટલા પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. 'કરૂણા અભિયાન-2025'માં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 6,695, સુરતમાં 5,178, રાજકોટમાં 920, વડોદરા જિલ્લામાં 894 સહિત વિવિધ જિલ્લાઓમાંથી અનેક પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા જેવા ૫૧ થી વધુ પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે.

રાજ્યમાં વર્ષ-2017થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 1.12 લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી 92 ટકા સાથે 1.3 લાખ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે.

ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજત માટે યોજતું કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગત વર્ષ 2024માં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13,800થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં 4,400થી વધુ પશુઓ અને 9,300થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.

'કરૂણા અભિયાન-2025'માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાયા હતા. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુદવાખાના અને 37 કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રાખવામાં આવ્યા હતા.