IPS Rajiv Ranjan Bhagat: કેન્દ્ર સરકારની કેબિનેટ નિયુક્તિ (ACC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત કેડરના IPS અધિકારી રાજીવ રંજન ભગતને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે નિમણૂંક આપવામાં આવી છે. રાજીવ રંજન ભગત લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે, ત્યારે તેમને SPGના ADG તરીકે વરણી કરવામાં આવ્યા છે, જે ગુજરાત પોલીસ માટે પણ ગૌરવની ક્ષણ છે.
હાલ રાજીવ રંજન ભગત SPGમાં IGની પોસ્ટ પર તૈનાત
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, 1998 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી રાજીવ રંજન ભગત અત્યાર સુધી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં ઈન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે કામ કરી રહ્યા હતા.
હવે રાજીવ રંજન ભગત દેશની સૌથી સ્પેશિયલ સિક્યુરિટી એજન્સીઓ પૈકીની એક એવી SPGમાં અગત્યની ભૂમિકા ભજવશે. SPG જ વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
અગાઉ 20 મે, 2018માં રાજીવ રંજન ભગતને ડેપ્યુટેશન પર SPGના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) તરીકે પાંચ વર્ષ માટે નિમણૂંક આપવામાં આવતી હતી. તેમની મુદ્દત મે-2023માં સમાપ્ત થઈ રહી હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. રાજીવ રંજન ભગત અગાઉ ગુજરાતમાં IGP CID (IB) તરીકે ફરજ બજાવતા હતા.
20 મે, 2027 સુધી આજ પોસ્ટ પર કાર્યરત રહેશે
1998 બેંચના IPS રાજીવ રંજન ભગત મૂળ બિહારના વતની છે, તેમણે ઈતિહાસમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી છે. 1 એપ્રિલ, 1948માં જન્મેલા રાજીવ રંજન ભગત લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટશન પર છે, ત્યારે હવે તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ તેઓ 20 મે, 2027 સુધી આજ પદ પર કાર્યરત રહેશે.
