Ambaji Bhadravi Poonam Mela 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા દરમિયાન મા અંબાના દર્શન કરવા જતાં લાખો ભક્તો અને પદયાત્રીઓની વિશેષ સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)ના ગાંધીનગર ડેપો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા 20 સપ્ટેમ્બરથી26 સપ્ટેમ્બર 2026 સુધીના 7 દિવસમાં કુલ 190 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
અંબાજી અને અમદાવાદની રુટો પર વધારાની બસો દોડાવાશે
ભાદરવી પૂનમના મેળા દરમિયાન ખાસ કરીને ચાલીને જતાં પદયાત્રીઓ વતન પાછા ફરતી વખતે બસ સેવાઓનો સૌથી વધારે ઉપયોગ કરતાં હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગાંધીનગરથી અમદાવાદ રુટ પર મુસાફરોના ઘસારાને ધ્યાને લઈને વધારાની બસો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકોની ભીડને લઈને ખાસ વ્યવસ્થાનું આયોજન
મુસાફરોની માંગ અને લોકોની ભીડને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યામાં જરૂરી ફેરફાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ખાસ કરીને 24 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરના રોજ મુખ્ય મેળો હોવાથી 40-40 વધારાની એસ ટી બસો દોડાવવામાં આવશે, અંબાજીથી પરત ફરતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
કઈ તારીખે કેટલી બસો દોડશે?
20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન તારીખવાર વધારાની બસોનું આયોજન નીચે મુજબ છે:
- 20 સપ્ટેમ્બર: 10 બસ
- 21 સપ્ટેમ્બર: 20 બસ
- 22 સપ્ટેમ્બર: 25 બસ
- 23 સપ્ટેમ્બર: 30 બસ
- 24 સપ્ટેમ્બર: 40 બસ (સૌથી વધુ ઘસારો)
- 25 સપ્ટેમ્બર: 40 બસ (સૌથી વધુ ઘસારો)
- 26 સપ્ટેમ્બર: 25 બસ
