Gandhinagar News: કચ્છના લખપત તાલુકાના ગામોમાં તાવના કારણે છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જ્યાં મોતના બનાવો બન્યા છે ત્યાં મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, આરોગ્ય વિભાગ દ્વારા નિષ્ણાંતોની ટીમો મોકલવામાં આવી છે. જે આગામી બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે ત્યાર બાદ જરૂરી પગલા ભરવામાં આવશે.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યું નોંધાયા છે. મૃત્યુના કારણ જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા, રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે. જેમાં મીડીસીન પીએસએમ, માઇક્રો બોયોલોજી, બાળરોગ નિષ્ણાંત વગેરેને નિષ્ણાંતોની ટીમ જઇને ત્યાં સમગ્ર સર્વેલન્સ કરીને ત્યાંની માહિતી મોકલીને આ બાબતે મૃત્યુ થવાના કારણો જાણીને એ રિપોર્ટ રાજ્ય સરકારને બે દિવસમાં મોકલશે.
આ ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે. તેમાંથી કારણો જાણવા મળશે કે અચાનક આ 4 દિવસમાં 12 લોકોના મોત કેમ નોંધાયા છે. એ જાણીને જરૂરી આવશ્યક પગલા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવશે. આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો ન દેખાય એ માટે રાજ્ય સરકાર ત્વરિત કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ માહિતી લઇને જરૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે.
