Delhi-Mumbai Expressway: દાહોદ અને ગોધરા વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દાહોદ અને ગોધરાને જોડતો 51 કિમીનો મહત્વપૂર્ણ માર્ગ પ્રાયોગિક ધોરણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આનાથી સુરત અને વડોદરા તરફ જનારા વાહનચાલકોને મોટી રાહત મળશે.
સુરત અને વડોદરાના વાહનચાલકોને રાહત
લીમખેડા ઇન્ટરચેન્જથી ગોધરા વચ્ચેનો આ માર્ગ શરુ થતાં જ દાહોદ જિલ્લાંથી ઘણા વાહનચાલકો સુરત અને વડોદરા તરફ જતાં હોય છે. તેમને લાંબો ફેરો લગાવવાની જરુરિયાત નહીં રહે. વાહનચાલકો લીમખેડાથી સીધા એક્સપ્રેસ-વે પર એન્ટ્રી લઈ શકશે ઉપરાંત એક્ઝિટ મેળવી શકશે, આ સંપૂર્ણ પેકેજના બંને સેકશનનું નિર્માણ જીએ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આશરે 2,264 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
ટોલની વસૂલાત અને સુરક્ષા
હાલમાં લીમખેડા-ગોધરા ઇન્ટરચેન્જ માર્ગને હાલ અનૌપચારિક રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. લીમખેડા ટોલ પ્લાઝા પર હાઇટેક વીજ લાઈન, સાઈન બોર્ડ અને સર્વેયર સિસ્ટમની કામગીરી હજુ અધૂરી છે, જેને પગલે ટોલની વસૂલાતની કામગીરી ગોધરા ટોલનાકા પર કરવામાં આવી રહી છે. આ કામગીરી પુરી થતાં જ લીમખેડા ટોલ પ્લાઝા વિધિવત રીતે કાર્યરત થઈ જશે.
રોડ સે્ફ્ટી માટે લીમખેડાથી ગોધરા વચ્ચે ક્રેશ બેરિયર, સીસીટીવી, સ્પીડ સર્વેલન્સ અને સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. જોકે, કેમેરાની વાત કરીએ તો, તે સંપૂર્ણ રીતે કાર્યરત છે તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી નથી.
