Dahod News: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રીંછના હુમલાનો બનાવ બન્યો છે. જેમાં એક આધેડ પર રીંછે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે.
જંગલ વિસ્તારની આસપાસ આવેલ અનેક ગ્રામીણ વિસ્તારોમાં જંગલી જાનવરો દ્વારા હુમલા થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. અવાર નવાર જંગલી પ્રાણીઓ માનવીઓના રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે જેના અનેક કિસ્સાઓમાં જાનવરો ધ્વરા માનવી પર હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પણ આવો જ એક બનાવ બન્યો છે.
ધાનપુર તાલુકાના અલીન્દ્રા અને ભીંડોલ જંગલ ભાગ વિસ્તારમાં રીંછ દ્વારા એક આધેડ પર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આશરે છ વાગ્યાના અરસામાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભુદરભાઈ મોહનિયા નામના આધેડ તેમની સાસરીમાંથી પોતાના ઘરે ખલતા ગરબડી પરત ફરી રહ્યા હતા તે સમયે રીંછ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
રીંછના હુમલામાં ભુદરભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલતો સ્થાનિકોમાં રીછના હુમલાને લઈને ભારે દહેશત ફેલાઈ છે.
