Dahod News: પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલો મહાકુંભ મેળો 2025 પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં લોકો સંગમ કિનારે સ્નાન કરવા આવી રહ્યા છે. ત્યારે અહીંથી પરત ફરતા શ્રદ્ધાળુઓની એક ગાડીને લીમખેડાના પાલ્લી ગામ નજીક ગત શુક્રવારે અકસ્માત નડ્યો છે. જેમાં અંકલેશ્વર અને ધોળકાના ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગત શુક્રવાર સાંજે પ્રયાગરાજથી શ્રદ્ધાળુઓની એક ગાડી પરત આવી રહી હતી. આ દરમિયાન રસ્તા પર ઊભેલી એક ટ્રક સાથે ગાડી અથડાઈ હતી. જેમાં અંકલેશ્વર અને ધોળકાના 4 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ ઉપરાંત મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડાની હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
