Botad: ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો છે. જ્યારે આ દિવસો દરમિયાન લગભગ 25 લાખ લોકોએ દાદાના દર્શન કર્યાં હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવાળીનું પાવન પર્વમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે.
આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહસને દાદાના 200 કિલોથી વધુ ગલગોટાના અને ગુલાબના ફુલનો શણગાર કર્યો હતો.આજે શ્રી હરિ મંદિરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. લાખો લોકોએ નૂતન વર્ષે દાદાના દર્શન-આશીર્વાદ માટે સાળંગપુરધામમાં આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.
અન્ન એજ બ્રહ્મ એ કષ્ટભંજનદેવ નૂતન ભોજનાલયનો મુખ્ય આધારસ્તંભ છે. દર્શને આવનાર હરકોઈ ભક્તને દાદાની પ્રસાદી મળે એ જ આ નૂતન ભોજનાલયની ભક્તિ છે. એ ઉદેશ્યથી ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય-સાળંગપુરધામમાં પાંચ દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ લાડું,શાક,રોટલી,શીરો,દાળભાત,છાસ વિગેરે મહાપ્રસાદનો લાભ લીધો. તેમજ લગભગ 25 લાખ લોકોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
