Talaja Local News: તળાજા (Talaja)ના યુવાનોમાં સેવાભાવનો ક્રેઝ વધતો જાય છે. તળાજાના યુવાને દાતાઓની મદદને કામે લગાવી છે. નિરાધાર ચાર ભાઈ બહેનને આશરો બાંધી આપ્યો હતો. સોશિયલ મીડિયાની મદદથી લોકો સેવાકિય કાર્યો પણ કરી રહ્યા છે. ખાસ કરીને તળાજાના યુવાનો આનો સદઉપયોગ કરીને નિરાધારોને આશરો આપી રહ્યા છે.
સેવા કરવા માટે આર્થિક રીતે સુ:ખી હોવું જરુરી નહીં પણ દિલ મોટુ હોવું જરુરી છે. આવો જ એક દાખલો તળાજામાં જોવા મળ્યો. વિક્રમભાઇ બારૈયા નામના શખ્સે માતાપિતાની છત્ર છાયા ગુમાવી દેનારા ત્રણ બહેન અને તેમના એકનાએક ભાઇને દાતાઓની આર્થિક મદદથી ઘર બનાવી આપ્યું છે.
4 બાળકો નિરાધાર બન્યા હતા
આંગણકા ખડસલીયા ગામમાં રહેતા દાના ભાઇ અને તેમના પત્નીનું અકાળે અવસાન થયું હતું. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને 1 દિકરો હતો. તેમનું અવસાન થતા આ ચારેય બાળકો નિરાધાર બન્યા હતા.
ઘરની સ્થિતિ સાવ ખરાબ થઈ
નિરાધાર બનતા ઘરની સ્થિતિ ખૂબ જ નબળી થઈ હતી, કારણ કે કમાવનાર માતા-પિતા જ રહ્યા ન હતા. તો લોકોએ પરિવારને મદદ કરવાનું બિડુ ઝડપ્યું અને કોઈએ ધનથી તો કોઈએ તનથી મદદ પહોંચાડી.
સોશિયલ મીડિયાની મદદથી સારું ફંડ ભેગું થયું
ગામના યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફંડ ભેગુ કરવાની શરુઆત કરી. ત્રણ મહિનાના નાનકડા સમયગાળામાં જ મકાન તૈયાર થઈ ગયુ. લોકોએ અનાજની સાથે-સાથે ઘરવખરીનું પણ દાન કર્યું હતું.
