Bagdana controversy: 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજની 'ન્યાય સભા', જીતુ વાઘાણીના ગઢમાં 200 સ્થળે બેનરો સાથે તડામાર તૈયારી

સમસ્ત કોળી-ઠાકોર સમાજ દ્વારા આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે એક વિશાળ 'ન્યાય સભા' નું આયોજન કરવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 28 Jan 2026 08:20 AM (IST)Updated: Wed, 28 Jan 2026 08:20 AM (IST)
bagdana-controversy-koli-community-nyay-sabha-in-bhavnagar-on-february-1-preparations-underway-with-banners-at-200-places

Bagdana controversy: બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ બાદ પણ કોળી-ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમસ્ત કોળી-ઠાકોર સમાજ દ્વારા આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે એક વિશાળ 'ન્યાય સભા' નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સભા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં યોજાનાર છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.

શહેરભરમાં 200થી વધુ બેનરો અને રાત્રિ બેઠકો

ન્યાય સભાને સફળ બનાવવા માટે ભાવનગરના ખૂણેખૂણે તૈયારીઓ ચાલી રહી છે. હાદાનગર, મેપાનગર, કુંભારવાડા, બોરતળાવ અને નારીગામ સહિતના વિસ્તારોમાં 200થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે. સભા સ્થળે મંડપારોપણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોળી સમાજના યુવા આગેવાન હિરેન વાઘેલાએ જણાવ્યું કે, સમાજના લોકોને જાગૃત કરવા માટે રોજ રાત્રે વિવિધ વિસ્તારોમાં મીટિંગો કરવામાં આવી રહી છે.

રાજકીય અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો

કોળી સમાજના આગેવાનોએ આ મામલે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે:

  • પોલીસની ભૂમિકા: આ કેસમાં તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
  • જીતુ વાઘાણી પર નિશાન: આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે આ પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીની ભૂમિકા છે અને તેઓ સમાજમાં ભાગલા પડાવવાની નીતિ અપનાવી રહ્યા છે.
  • સમાજની એકતા: આગેવાનોએ હુંકાર કર્યો છે કે જ્યારે સમાજ પર અત્યાચાર થાય ત્યારે ભાજપ, કોંગ્રેસ કે આપ ભૂલીને આખો સમાજ એક થઈને લડશે.

સાંસદ અને ધારાસભ્યોને આમંત્રણ

આ ન્યાય સભામાં કોળી સમાજના તમામ સાંસદો અને ધારાસભ્યોને હાજર રહેવા સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજ પોતાના રાજકીય પ્રતિનિધિઓ પાસે આ મામલે મક્કમ સ્ટેન્ડની અપેક્ષા રાખી રહ્યો છે.

જયરાજ આહીર જેલના સળિયા પાછળ

બીજી તરફ, 24 જાન્યુઆરીએ ધરપકડ કરાયેલા જયરાજ આહીરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરતા તેને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 25 જાન્યુઆરીની સાંજે 7 વાગ્યે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. નોંધનીય છે કે કોર્ટમાં રજૂ થતી વખતે જયરાજ ઢીલો પડ્યો હતો, પરંતુ જેલમાં પ્રવેશતી વખતે તેના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.