Amreli News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં કરુણ ઘટના સામે આવી છે. બાબરા તાલુકાના પીરખીજડીયા ગામે ખેત મજૂરી કરીને પરિવારનું પેટિયું રળતાં 43 વર્ષીય શ્રમિકનું ખુલ્લા કુવામાં પડી જવાથી અકસ્માતે કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનોએ કુવામાં ઉતરીને આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આધેડ કૂવામાં પડી જતાં મોત થયું
મળતી માહિતી મુજબ, બાબરા તાલુકાના પીરખીજડીયા ગામમાં એક કૂવામાં પડીને મરણ જનારાં શ્રમિકની ઓળખ 43 વર્ષીય ભીખાભાઈ સોલંકી તરીકે થઈ છે. શ્રમિક ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, અવરજવર દરમિયાન પગ લપસી જવાથી કે ખેતરની સીમમાં કામ કરતી વખતે અચાનક પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી મોત થયું હોઈ શકે છે.
ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
કૂવામાં શ્રમિક પડ્યાની જાણ થતાં જ સ્થાનિકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરુ કરી હતી. આશરે 30 મિનિટની ભારે જહેમત બાદ ફાયર જવાનોએ કૂવામાંથી 43 વર્ષીય ભીખાભાઇ સોલંકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પીએમ અર્થે બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
