Swachh Sabarmati Abhiyan: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સફાઈ અભિયાન શરૂ, 7500 નાગરિકોએ નદીમાંથી 68 ટન કચરો કાઢ્યો

શહેરના વિવિધ વર્ગોના લોકો એક જ ધ્યેય સાથે સાબરમતીને સ્વચ્છ બનાવવા માટે એકત્ર થતા જનભાગીદારીનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 02 Jun 2026 04:14 PM (IST)Updated: Tue, 02 Jun 2026 04:14 PM (IST)
swachh-sabarmati-maha-abhiyan-2026-ahmedabad-amc-removes-68-tonnes-waste

Ahmedabad Swachh Sabarmati Abhiyan: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આયોજિત “સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન-2026”નો મંગળવારે સવારે ઉમંગ અને ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 7થી 9 વાગ્યા દરમિયાન યોજાયેલા આ વિશાળ સ્વચ્છતા અભિયાનના પ્રથમ જ દિવસે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 7,500થી વધુ નાગરિકો જોડાયા હતા અને સાબરમતી નદીના પટ વિસ્તારમાંથી અંદાજે 68 ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો.

અભિયાનના પ્રારંભ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તેમજ અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) દર્શનાબેન વાઘેલા, અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, દંડક અતુલ મિશ્રા, શાસક પક્ષના નેતા જશુ ઠાકોર, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન આઈ.પી. ગૌતમ (IAS-Retd.), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS) સહિત શહેરના સાંસદો, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image

અભિયાનમાં વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના સાહસો (PSUs), 30થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs), શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, ક્રેડાઈ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, NCC કેડેટ્સ, હોમગાર્ડના જવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો સહિત 7,500થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના વિવિધ વર્ગોના લોકો એક જ ધ્યેય સાથે સાબરમતીને સ્વચ્છ બનાવવા માટે એકત્ર થતા જનભાગીદારીનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું.

સાબરમતી નદીના પટ વિસ્તારમાં હાથ ધરાયેલી સફાઈ કામગીરી દરમિયાન હિટાચી અને JCB જેવી ભારે મશીનરીની મદદથી અંદાજે 68 ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. દૂર કરાયેલા કચરામાં પ્લાસ્ટિક, ધાર્મિક મૂર્તિઓ, ચૂંદડીઓ, પાણીની બોટલો તેમજ અન્ય ઘરગથ્થુ કચરાનો સમાવેશ થતો હતો. નદીના પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન નાગરિકોની સક્રિય ભાગીદારી નોંધપાત્ર રહી હતી. આવનારા ભવિષ્યમાં નદીઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની આશા સાથે સાબરમતી સ્વચ્છતા અભિયાન એક જનસંદેશ આપી રહ્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી અમદાવાદની જીવનરેખા સમાન છે. નદી માત્ર જળસ્ત્રોત નથી, પરંતુ શહેરના પર્યાવરણ, જૈવ વૈવિધ્યતા અને ભાવિ પેઢીના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે સંકળાયેલી છે. તેથી નદીને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવી દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

naidunia_image

મહાનુભાવોએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ ઉપલબ્ધ ડસ્ટબિનનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ પ્રકારનો કચરો નદીમાં કે જાહેર સ્થળોએ ન ફેંકવો જોઈએ. કચરાનો યોગ્ય નિકાલ અને સ્વચ્છતાની સારી આદતો અપનાવીને જ સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી અમદાવાદનું નિર્માણ શક્ય બનશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ “સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન” માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જનજાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક જવાબદારીનો વ્યાપક સંદેશ આપતું અભિયાન છે. પ્રથમ જ દિવસે હજારો નાગરિકોની ભાગીદારીએ સાબિત કર્યું છે કે અમદાવાદવાસીઓ શહેર અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા માટે પ્રતિબદ્ધ છે.

naidunia_image

ઉલ્લેખનીય છે કે “સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન” તા. 2 જૂન 2026થી શરૂ થઈને તા. 5 જૂન 2026ના વિશ્વ પર્યાવરણ દિવસ સુધી સતત ચાલુ રહેશે. આ દરમિયાન વિવિધ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ સંસ્થાઓ અને નાગરિકોને આ નદી સફાઈ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. અભિયાનમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે શહેરના વધુમાં વધુ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને સાબરમતી નદીને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે.