Jagannath Temple in Ahmedabad: આજે નિર્જળા અને ભીમ અગિયારસ નિમિત્તે દેશના દરેક મંદિરમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આગામી અષાઢી બીજ એટલે કે, 7 જુલાઈના રોજ અમદાવાદની ઐતિહાસિક 147મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રાના મહોત્સવની તૈયારી નિર્જળા અને ભીમ અગિયારસથી શરૂ થાય છે. જેથી આજે જમાલપુર સ્થિત જગદીશ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો માથા પર પાણી ભરેલી માટલી, કેરી અને પંખો લઈને આવ્યા હતા અને ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીને અર્પણ કર્યા હતાં.
આ અંગ જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં અગિયારસનું ખૂબ જ મહત્ત્વ છે. આજે નિર્જળા અને ભીમ અગિયારસ છે જે વર્ષની 24 અગિયારસમાંથી શ્રેષ્ઠ અગિયારસ છે. આજે ભક્તો નિર્જળા અને ભીમ અગિયારસ કરીને માટીની માટલીમાં પાણી, પંખો અને કેરી ભગવાનને અર્પણ કરી છે. આખું વર્ષ અગિયારસ ના થાય અને આ અગિયારસ કરો તો તમામ અગિયારસનું ફળ મળે છે એવો આપણા શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે.
