Ahmedabad News: ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન સિંહોના અકાળે અને અકસ્માતે મોતની ઘટનાઓને લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરુદ્રતા માયીની ખંડપીઠે ભારે ચિંતા વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટે આજે ફરી એકવાર રેલવે ઓથોરિટી અને ફોરેસ્ટ વિભાગના સત્તાવાળાઓને આકરા શબ્દોમાં ઝાટકીને જણાવ્યું હતું કે, સિંહો સહિત વન્ય પ્રાણીઓના રક્ષાની જવાબદારી તેમની છે.સિંહોની સલામતીની જવાબદારીથી ફોરેસ્ટ, રેલવે વિભાગ છટકી ન શકે.
રાજ્ય સરકાર કે રેલ્વે વિભાગ પોતાની આ જવાબદારીમાં છટકી શકે નહીં. કોઈપણ બહારના તત્વો કે પરિબળોથી વન્ય જીવોનું મોત થાય તો સત્તાવાળાઓની જવાબદેહી બને છે. આ સાથે હાઈકોર્ટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ડિવિઝનલ રેલ્વે મેનેજરને સોગંદનામું રજૂ કરવા હુકમ કરવા હતો.
