Viramgam Flood Relief Package: વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા પાણીના લાઈવ પૂરે ભારે તારાજી સર્જી છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જવાથી ખેતી, વેપાર અને જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિગતવાર પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરાવવા અને પીડિતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી છે.
પૂર બાદ 500થી વધુ પરિવારોને પ્રાથમિક મદદ કરાઈ
ધારાસભ્ય હાર્દિક પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, પૂરના કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે અને તેમની ઘરવખરી તબાહ થઈ ગઈ છે. ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો અને નાના લારી-ગલ્લાધારકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે અત્યાર સુધીમાં આશરે 500 જેટલા પ્રભાવિત પરિવારોને મકાન, પશુપાલન અને ઘરવખરી માટે જરૂરી પ્રાથમિક સહાય પૂરી પાડવામાં આવી છે. પરંતુ, નુકસાનનું પ્રમાણ ખૂબ મોટું હોવાથી સરકારી સ્તરેથી મોટા પેકેજની જરૂરિયાત છે.


પત્રમાં રજૂ કરાયેલી 4 મુખ્ય પ્રાથમિકતાઓ
ખેડૂતોને પાક અને જમીન ધોવાણનું યોગ્ય વળતર
ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે ઉભા પાકને મોટું નુકસાન થયું છે અને જમીનનું ધોવાણ થયું છે. તેથી ખેડૂતોને હેક્ટર દીઠ ઉદાર નાણાકીય સહાય, મફત કે રાહત દરે બિયારણ તેમજ કૃષિ સહાય તાકીદે આપવામાં આવે.
નાના વેપારીઓ માટે વ્યાજમુક્ત લોન
દુકાનો, શોપિંગ સેન્ટરો અને લારી-ગલ્લાઓમાં પાણી ફરી વળવાથી વેપારીઓનો માલસામાન પલળીને બેરોજગાર બની ગયો છે. આવા નાના ધંધાર્થીઓને ફરી પગભર કરવા વ્યાજમુક્ત અથવા સબસિડી વાળી લોન પૂરી પાડવામાં આવે.
રોગચાળો અટકાવવા હેલ્થ કેમ્પ અને સ્વચ્છતા
પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક તબીબી કેમ્પો, પશુ આરોગ્ય શિબિરો, જંતુનાશક દવાઓનો છંટકાવ અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.
રસ્તા અને વીજળીનું પુનઃસ્થાપન
પૂરના કારણે ધોવાઈ ગયેલા મુખ્ય માર્ગો, ખોરવાયેલો વીજ પુરવઠો અને જાહેર મિલકતોના દુરસ્તીકરણ માટે ખાસ ઇમરજન્સી ગ્રાન્ટ ફાળવવામાં આવે.
માનવતાના ધોરણે નિર્ણાયક પગલાં લેવા વિનંતી
હાર્દિક પટેલે આ પત્રની નકલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ રવાના કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકારશ્રી આ કુદરતી આપત્તિના સમયે પૂરગ્રસ્ત નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક નિર્ણય લેશે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોનું જનજીવન ફરીથી સામાન્ય પાટા પર લાવવામાં મદદ મળી શકે.
