કિશન પ્રજાપતિ, અમદાવાદઃ
Accident or Conspiracy: Godhra: લોકોને આજે પણ હચમચાવી નાંખે એવી ઘટના એટલે કે, ગોધરાકાંડ. જેમાં ગોધરા સ્ટેશન પર અયોધ્યાથી પરત આવતી સાબરમતી એક્સપ્રેસના S6 કોચને આગચાંપી 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાતમાં ઠેર-ઠેર રમખાણો ફાટી નીકળ્યા હતા. હવે આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ એક્સિડન્ટ ઓર કોન્સપરસીઃ ગોધરા નામની ફિલ્મ આગામી 12 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આઈકોન સ્ટાર હિતુ કનોડિયા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી જાગરણે તેમની સાથે આ ફિલ્મ અંગે ખાસ વાતચીત કરી હતી. જે અહીં અમે એમના શબ્દશઃ રજૂ કરીએ છીએ.
"ફિલ્મ માટે ડિરેક્ટર અને પ્રોડ્યુસરે કોન્ટેક્ટ કર્યો'તો"
આઈકોન સ્ટાર હિતુ કનોડિયાએ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, "ડાયરેક્ટ જ ડિરેક્ટર અને પ્રોડ્યુસરે કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું કે, અમે નાણાવટી-મહેતા કમિશન પર ફિલ્મ બનાવી રહ્યા છીએ. જેમાં ટ્રેનમાં સળગી ગયા તે કારસેવકો અને તેમના પરિવારની વાત હશે. આ ફિલ્મ માટે અમે ઘણું રિસર્ચ કર્યું છે. આ પછી મેં ફિલ્મ કરવા માટે હા પાડી હતી."
"આ ફિલ્મના ટ્રેન સળગાવી એ સીન હચમચાવી દેનારો છે"
હિતુ કનોડિયાએ વધુમાં જણાવ્યું કે, "આ ફિલ્માં મારા રોલ વિશે કહું તો, સાબરમતી જતી ટ્રેનના S6 કોચમાં જે કારસેવકો હતા. તે પીડિત ફેમિલીમાંનો હું એક છું. આ સૌથી દુખદ ઘટનાઓમાંની એક છે. આના માટે લોકોને દિલમાં ખૂબ જ દુખ છે. એમાં કંઈ વધારે પ્રિપેર કરવાની જરૂર જ નહોતી. હું પહેલાંથી પ્રિપેર હતો કેમ કે, એ દુખ તો બધાને પહેલાંથી જ હતું અને છે જ બધાના દિલમાં. આ ફિલ્મમાં અમે જે ટ્રેનની સિક્વન્સો જે કરી છેને તે તમારું દિલ હચમચાવી નાંખે એવી શૂટ થઈ છે. અમે આ સિનનું શૂટિંગ હૈદરાબાદ રામોજીરાવ ફિલ્મ સિટીમાં કર્યું છે."
"આના પછી કેસરી વીર નામની મારી બીજી બોલિવૂડ ફિલ્મ આવશે"
અંતમાં હિતુ કનોડિયાએ જણાવ્યું કે, "આમ જોઈએ તો આ ફિલ્મમાં મેકિંગ વખતે દરેક કલાકારે ખૂબ જ સુંદર પર્ફોમન્સ આપ્યું છે. આ ફિલ્મ હિન્દી માટે પણ ખૂબ સારી સાબિત થશે એવી મને આશા છે. આના પછી કેસરી વીર નામની મારી બીજી બોલિવૂડ ફિલ્મ આવી રહી છે."
