Ahmedabad News: ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો શુભારંભ કરાયો છે. જે ખેડૂતોની નોંધણી થઇ છે તેમને એસએમસ કરી ખરીદ કેન્દ્રો પર બોલાવવામાં આવી રહ્યાં છે. આજે સવારે 10 વાગ્યાથી રાજ્યના 22 જિલ્લાઓના 300થી વધુ ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરના દહેગામમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.
22 જિલ્લાઓમાં 300થી વધુ ખરીદ કેન્દ્રો કાર્યરત કરાયા
રાજ્ય સરકારે આ વર્ષે આશરે રૂ. 15,000 કરોડથી વધુ મૂલ્યની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ખરીદી પ્રક્રિયા અંતર્ગત મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263, અડદ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,800 અને સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,328નો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી સહિત કુલ 22 જિલ્લાઓમાં 300થી વધુ ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
જિસ્ટર્ડ ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવાય છે
જરૂરિયાત મુજબ આ કેન્દ્રોની સંખ્યા વધારવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી આ કેન્દ્રો પર ખરીદી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જ્યાં રજિસ્ટર્ડ ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હિતમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ખરીદ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ ખાતે મગફળીની ખરીદી શરૂ થઈ છે. જિલ્લામાં કુલ 11 કેન્દ્રો કાર્યરત છે અને 9.30 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અમરેલીના બગસરા APMCમાં પૂજા-અર્ચના બાદ ખરીદીનો પ્રારંભ થયો, જ્યાં શરૂઆતમાં 21 ખેડૂતોને બોલાવાયા હતા અને બગસરા તાલુકામાં 5407 ખેડૂતોએ નોંધણી કરાવી છે. બનાસકાંઠાના વાવ અને થરાદ માર્કેટ યાર્ડમાં પણ મગફળીની ખરીદી શરૂ થઈ, જ્યાં ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના કુલ 42 કેન્દ્રો પૈકી 17 કેન્દ્રો પર મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ થઈ છે. અહીં 1.15 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં કેશોદના 20,034 ખેડૂતોનો સમાવેશ થાય છે.
