Ahmedabad Metro Time Table: 12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે ક્રિકેટ ટીમ રમાનારી છે. આગામી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તા. 12 ફેબ્રુઆરીના રોજ, અમદાવાદમાં (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. મોટેરા સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય મધ્યરાત્રિના 12 વાગ્યાનો રહેશે.
રાત્રિના 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે કે જે આખા દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી તે દિવસે અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.
