Pramukh Varni Amrut Mahotsav: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ'ની ચરમસીમારૂપ મુખ્ય સમારોહની ભવ્ય ઉજવણી આગામી સાત ડિસેમ્બર, રવિવારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે થશે.

પ્રમુખસ્વામી મહારાજના 104મા જન્મદિને યોજાનારા આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા માનવસેવામાં સમર્પિત તેમના અસંખ્ય કલ્યાણકારી કાર્યોને ભાવભરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને દિવ્ય આયોજન
આ મુખ્ય સમારોહમાં બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપશે. તેમની સાથે ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સાંજે 5:30 થી 8:30 સુધી ચાલનારા આ કાર્યક્રમની ખાસિયત એ છે કે અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત તરતાં ફ્લોટસ તરતા મૂકવામાં આવશે, જે એક અદ્ભુત દ્રશ્ય સર્જશે.
ઐતિહાસિક 'આંબલીવાળી પોળ'નું મહત્ત્વ
પ્રમુખવરણીની ઐતિહાસિક પૂર્વભૂમિકા અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીવાળી પોળ સાથે જોડાયેલી છે. આ જ પોળમાં 21 મે, 1950ના રોજ (વિક્રમ સંવત 2006) બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા, ત્યારથી તેઓ 'પ્રમુખસ્વામી મહારાજ' તરીકે વિશ્વભરમાં જાણીતા થયા.

આ જ પોળમાંથી તેમણે “મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ” એવી પ્રતિજ્ઞા લીધી હતી, જેને તેમણે જીવનભર સાકાર કરી હતી. આ મહાપ્રાસાદિક સ્થાનનું નવીનીકરણ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે કરવામાં આવ્યું હતું.

જીવંત પ્રસારણ દ્વારા લાખો ભક્તો જોડાવશે
છેલ્લા બે મહિનાથી 20 સેવાવિભાગોના 5500 જેટલા સ્વયંસેવકો આ ભવ્ય આયોજન માટે સેવારત છે. રિવરફ્રન્ટ ખાતેની બેઠક વ્યવસ્થાની ક્ષમતા આરક્ષિત હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો આસ્થા ભજન ચેનલ અને live.baps.org મારફતે પોતાના ઘરે બેઠા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે.

