Ahmedabad: ચાંદખેડામાંથી શાકભાજી વેચતા પરિવારની દીકરીને અજાણ્યો શખ્સ ફોસલાવીને ભગાડી ગયો, પોલીસે ગુનો નોંધ્યો

સગીરાના પિતાએ ફરિયાદ કરી છે કે તેમની 15 વર્ષની દીકરીને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી-ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 16 Oct 2025 03:42 PM (IST)Updated: Thu, 16 Oct 2025 03:42 PM (IST)
ahmedabad-unknown-person-lured-and-abducted-vegetable-sellers-daughter-from-chandkheda-police-filed-case
HIGHLIGHTS
  • મનીષા સાંજે આશરે 7.30 વાગ્યે પાડોશી કલ્પનાબેન દંતાણીના ઘરે 'રોટલી બનાવવાનું કહીને' નીકળી હતી.
  • તપાસ કરતાં મનીષા ત્યાં પણ પહોંચી ન હોવાનું માલૂમ પડ્યું હતું.

Ahmedabad News: ચાંદખેડા વિસ્તારમાંથી એક સગીરાના રહસ્યમય સંજોગોમાં ગુમ થવાના બનાવને લઈને તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ગંભીર ફરિયાદ નોંધાવી છે. સગીરાના પિતાએ ફરિયાદ કરી છે કે તેમની 15 વર્ષની દીકરીને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી-ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને યુવતીની શોધખોળ શરૂ કરી છે.

ફરિયાદની વિગતો મુજબ, ચાંદખેડા ખાતે રહેતા વિરેન્દ્રભાઈ અજીતભાઈ દાતણીયા (ઉં.વ. 44) કોબા, ગાંધીનગર ખાતે પીડીપી કોલેજ સામે શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 15 વર્ષ અને 8 મહિનાની દીકરી મનીષા ધોરણ-9 સુધી ભણેલી છે. ગઈ તારીખ 1/10/2025ના રોજ સાંજે 4 વાગ્યે વિરેન્દ્રભાઈ અને તેમના પત્ની તેમના નિયમિત સમયે શાકભાજીની લારી પર વેપાર અર્થે ગયા હતા, ત્યારે તેમના ચારેય સંતાનો ઘરે હાજર હતા. જોકે, રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ તેમની મોટી દીકરી કિંજલે પિતાને ફોન કરીને જાણ કરી કે નાની બહેન મનીષા સાંજે આશરે 7.30 વાગ્યે પાડોશી કલ્પનાબેન દંતાણીના ઘરે 'રોટલી બનાવવાનું કહીને' નીકળી હતી, પરંતુ તે હજુ સુધી ઘરે પરત ફરી નથી. કલ્પનાબેનના ઘરે તપાસ કરતાં મનીષા ત્યાં પણ પહોંચી ન હોવાનું માલૂમ પડ્યું હતું.

દીકરીના રહસ્યમય ગુમ થવાની જાણ થતાં જ વિરેન્દ્રભાઈ અને તેમના પત્ની તાત્કાલિક ઘરે પરત ફર્યા હતા. તેમણે આજુબાજુના વિસ્તારોમાં, સગા-સંબંધીઓ અને મિત્રોને ત્યાં મનીષાની સઘન શોધખોળ કરી હતી, પરંતુ છ દિવસની જહેમત બાદ પણ તેની કોઈ ભાળ મળી નહોતી. અંતે, મનીષાને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હોવાની આશંકા વ્યક્ત કરીને વિરેન્દ્રભાઈએ તેમની પત્ની સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુમ થયેલી સગીરાના શારીરિક વર્ણનની નોંધ લીધી છે. મનીષા મજબૂત બાંધાની, ઘઉંવર્ણની અને આશરે 4.5 ફૂટની ઊંચાઈ ધરાવે છે. તેની સૌથી અગત્યની ઓળખ એ છે કે તેના ડાબા હાથના પંજાના ઉપરના ભાગે છુંદણાથી અંગ્રેજી અક્ષર 'M' કોતરાવેલો છે. તે ઘરેથી નીકળી ત્યારે સફેદ કલરનું ટોપ અને લેગિંગ્સ પહેરેલી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધીને મનીષાના માતા-પિતા, પાડોશી કલ્પનાબેન દંતાણી અને અન્ય સાહેદોના નિવેદનોના આધારે આરોપીને ઝડપી પાડવા અને સગીરાને હેમખેમ પરત લાવવા માટે કાયદેસરની કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.