LIVE BLOG

Ahmedabad Rath Yatra 2026 Live: ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર પહોંચ્યા, 149મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

રથયાત્રામાં જોડાનાર 18 જેટલા ગજરાજ (હાથીઓ) વધુ પડતા અવાજથી ભડકે નહીં તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ સોફ્ટવેર તૈયાર કરીને ગજરાજ પર ગાયરોમીટર લગાવવામાં આવ્યા છે. જેનું સફળ ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. 

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 16 Jul 2026 12:01 AM (IST)Updated: Thu, 16 Jul 2026 10:58 PM (IST)
ahmedabad-rath-yatra-2026-live-route-map-location-time-table-photos-videos-and-traffic-updates-lb

Ahmedabad Rath Yatra 2026 Live Updates: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી અમદાવાદની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, 2026 ગુરૂવારના રોજ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. નાથના દર્શન કરવા માટે સમગ્ર અમદાવાદ જાણે હિલોળે ચડ્યું હતું. સવારે 7:30 વાગ્યે જમાલપુર નિજ મંદિરથી શરૂ થયેલી નગરચર્યા બાદ, મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના ત્રણેય રથો સુરક્ષિત રીતે નિજ મંદિર પરત ફર્યા હતા.

આ પાવન અવસરે ભગવાન ખુદ ભક્તોના દ્વારે પહોંચતા સમગ્ર રૂટ પર જનમેદની ઉમટી પડી હતી. એક અંદાજ મુજબ, દિવસ દરમિયાન અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાભેર પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

16 Jul 2026, 10:28 PM

51 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા

લાખોની ભીડ અને ગરમી-ઉકળાટના કારણે રથયાત્રાના સમગ્ર રૂટ પર તબીબી કટોકટીના બનાવો પણ બન્યા હતા. 108 અને મેડિકલ કેમ્પના આંકડા અનુસાર, રથયાત્રા દરમિયાન ચાલુ રૂટ પર અકસ્માત થવો, પગ મચકોડાઈ જવો, પડી જવું તેમજ ભીડના કારણે ચક્કર આવીને બેભાન થઈ જવા સહિતના કુલ 51 જેટલા ઈમરજન્સી કેસો નોંધાયા હતા, જેમને સ્થળ પર જ અથવા નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

16 Jul 2026, 10:28 PM

રથયાત્રા દરમિયાન છૂટાછવાયા ઘર્ષણની ઘટનાઓ

પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં નીકળેલી આ રથયાત્રામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વિવાદના કિસ્સા પણ સામે આવ્યા હતા. પ્રેમ દરવાજા વિસ્તારમાં રથયાત્રા દરમિયાન પ્રસાદ લેવાની ઉતાવળમાં બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી.

જ્યારે ઘી કાંટા વિસ્તારમાં રથ ખેંચવા બાબતે સ્થાનિક યુવક અને રથ ખેંચતા ખલાસીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ અને બોલાચાલી થઈ હોવાના અહેવાલ છે. જોકે, હાજર પોલીસ કાફલાએ સ્થિતિને તુરંત કાબૂમાં લીધી હતી.

16 Jul 2026, 06:23 PM

પહેલો રથ દરિયાપુર લીમડા ચોક પહોંચ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પ્રેમ દરવાજાથી દરિયાપુર સુધી પદયાત્રા કરી સ્થિતિનું સીધું નિરીક્ષણ કર્યું હતું. નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ચાલતી આ યાત્રાનો પ્રથમ રથ સાંજે 4 ના બદલે 6 વાગ્યે દરિયાપુર લીમડા ચોક પહોંચ્યો હતો. વિલંબને કારણે સમય બચાવવા માટે આયોજકોએ કરતબબાજોને રસ્તામાં કરતબ બતાવ્યા વગર જ ઝડપથી આગળ વધવા સૂચના આપી હતી.

16 Jul 2026, 06:07 PM

અખાડા રંગીલા પોલીસ ચોકીથી નીકળ્યા

રથયાત્રા નીજ મંદિર તરફ આગળ વધી રહી છે. અખાડા અને કરતબબાજો રંગીલા પોલીસ ચોકીથી નીકળ્યા છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. 

16 Jul 2026, 05:31 PM

પોલીસ કમિશનરે સુરક્ષાનું નિરીક્ષણ કરી રથયાત્રાને આગળ વધારવા સૂચના આપી

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે દરિયાપુર ખાતે રથયાત્રાની સુરક્ષાનું નિરીક્ષણ કરી ક્રાઈમ બ્રાન્ચને યાત્રા ઝડપથી આગળ વધારવા સૂચના આપી હતી. રાજ્ય પોલીસ વડા અને કમિશનર બંનેએ રૂટ પર હાજર રહીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી. સુરક્ષા વ્યવસ્થાની સીધી સમીક્ષા કરવા માટે બંને ઉચ્ચ અધિકારીઓ દરિયાપુરથી દિલ્હી દરવાજા સુધી પગપાળા ગયા હતા.

16 Jul 2026, 05:29 PM

રથયાત્રામાં કુલ 41 ઇમરજન્સી કેસ નોંધાયા, 15 લોકો બેભાન થયા

રથયાત્રાના માર્ગ પર આજે કુલ 41 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જેમાં ભીડ અને ગરમીના કારણે 15 શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા હતા. મેડિકલ ટીમે 3 માર્ગ અકસ્માત અને 4 લોકોના પડી જવાથી થયેલી ઈજાઓ સહિત શ્વાસની તકલીફ અને છાતીમાં દુખાવાના દર્દીઓની તાત્કાલિક સારવાર કરી હતી. આ ઉપરાંત 5 લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર અપાઈ હતી, જ્યારે પેટમાં દુખાવો, ખેંચ અને ડિહાઈડ્રેશન જેવા અન્ય કેસમાં તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે.

16 Jul 2026, 04:48 PM

દરિયાપુરમાં અમી છાંટણા, ગજરાજ શાહપુર પહોંચ્યા

રથયાત્રા નીજ મંદિર તરફ આગળ વધી રહી છે. ગજરાજ શાહપુર પહોંચ્યા છે. રથયાત્રા દરિયાપુર પહોંચી ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમી છાંટણા થયા હતા. રાજ્યના પોલીસ વડા જી.એસ મલિક તંબુ ચોકી પહોંચ્યા છે. રથયાત્રાને જોવા અને ભગવાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા પોલીસે બેરિકેટ ગોઠવવાની ફરજ પડી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જગન્નાથ મંદિરના મહંતનું સ્વાગત કર્યું હતું. 

16 Jul 2026, 04:23 PM

ભગવાનના ત્રણેય રથનું સરસપુરથી રવાના

ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર મોસાળથી હવે નીજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. બીજી તરફ ટ્રકો તંબુ ચોકી પાસેથી દિલ્હી ચકલા તરફ આગળ વધી રહ્યાં છે. દરિયાપુર તંબુ ચોકી ખાસે પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત છે. 

16 Jul 2026, 03:48 PM

અખાડા પણ સરસપુરથી નીજ મંદિર તરફ રવાના થયા

ગજરાજ બાદ અખાડા પણ સરસપુરથી નીજ મંદિર તરફ રવાના થયા છે. થોડા સમયમાં ભગવાનના ત્રણેય રથ પણ નીજ મંદિર તરફ પ્રયાણ કરશે. સરસપુરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 

16 Jul 2026, 03:03 PM

ગજરાજ સરસપુરથી રવાના

ભગવાનના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા છે. જ્યાં તેઓ એક કલાક રોકાશે. બીજી તરફ સરસપુરથી નીજ મંદિર તરફ ગજરાજોએ પ્રયાણ કર્યું છે. 

16 Jul 2026, 02:42 PM

ભગવાનના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા, એક કલાક રોકાશે

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીના રથ સરસપુર મોસાળ પહોંચી ગયા છે. મોસાળમાં રથ એક કલાક સુધી રોકાશે. મામેરું રથ સુધી લાવવામાં આવ્યું છે. બ્હોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.

ahmedabad-rath-yatra-2026-live-19-16-july

16 Jul 2026, 01:26 PM

ભગવાનના ત્રણેય રથ કાલુપુર પહોંચશે

ભગવાનના ત્રણેય રથ પાચકુવાથી નીકળ્યા છે અને કાલુપુર પહોંચવા આવ્યા છે. ત્રણેય રથ અને ખલાસીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર ભક્તોની ભારે ભીડ છે. સમગ્ર રૂટ પર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

16 Jul 2026, 12:41 PM

ભગવાનના ત્રણેય રથ મહાનગરપાલિકાની ઓફિસથી ખાડિયા તરફ રવાના

ભગવાનના ત્રણેય રથ મહાનગરપાલિકાની ઓફિસથી ખાડિયા તરફ રવાના થયા છે. ભજન મંડળીઓ પાનકોર નાકા પહોંચી છે. જ્યારે અખાડા સરસપુર પહોંચ્યા છે. રથયાત્રા ધીમી ચાલી રહી હોવાથી જેસીપી નીરજ બડગુજર દ્વારા કરતબાજોને ઝડપથી આગળ વધવા જણાવ્યું હતું.

16 Jul 2026, 12:38 PM

મુખ્યમંત્રીએ રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. મુખ્યમંત્રીએ સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

16 Jul 2026, 12:32 PM

અમદવાદના મેયર, મનપા કમિશનરે ભગવાનના દર્શન કર્યા

ત્રણેય રથ મનપા ખાતે પહોંચતા મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, મનપા કમિશનર બંછાનિધિ પાનીએ રથનું સ્વાગત કર્યું હતું અને ભગવાનના દર્શન કર્યા હતા. 

16 Jul 2026, 12:03 PM

ભગવાનના ત્રણેય રથ મનપા કચેરી પહોંચ્યા 

ભગવાનના ત્રણેય રથ મહાનગરપાલિકાની ઓફિસે પહોંચ્યા છે. ભજન મંડળીઓ ખાડિયા પહોંચી છે. જ્યારે અખાડા સરસપુર પહોંચ્યા છે. રથયાત્રા ધીમી ચાલી રહી હોવાથી જેસીપી નીરજ બડગુજર દ્વારા કરતબાજોને ઝડપથી આગળ વધવા જણાવ્યું હતું.

16 Jul 2026, 11:46 AM

ભગવાનના ત્રણેય રથ જમાલપુર પગથિયા પાસે પહોંચ્યા

ભગવાનના ત્રણેય રથ જમામલપુર પગથિયા પાસે પહોંચ્યા છે. રથયાત્રા ધીમે-ધીમે આગળ વધી રહી છે. ખાડિયામાં શહેર કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા અખાડાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ahmedabad-rath-yatra-2026-live-15-16-july

16 Jul 2026, 11:10 AM

ટ્રકોનો કાફલો સરસપુર પહોંચ્યો

રથયાત્રાના ગજરાજો અને ટ્રકોનો કાફલો ધીમે ધીમે સરસપુર પહોંચ્યો છે. જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી પણ સરસપુર પહોંચ્યા છે. ભગવાનના મોસાળમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

16 Jul 2026, 11:00 AM

સરસપુરમાં દવે પરિવારે પૂજા વિધિ શરૂ કરી

સરસપુરમા યજમાન દવે પરિવાર મંદિર પહોંચ્યો છે. મામેરાની પૂજા વિધિ શરૂ કરવામાં આવી છે. 

16 Jul 2026, 10:56 AM

ભગવાનના રથ જમાલપુરથી આગળ વધ્યા

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ભગવાનના ત્રણેય રથ ધીમે ધીમે જમાલપુરથી આગળ વધી રહ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રાના માર્ગ પર ભગવાનની એક ઝલક મેળવવા અને દર્શન કરી ધન્યતા અનુભવવા ઉમટ્યા છે. 

ahmedabad-rath-yatra-2026-live-13-16-july

16 Jul 2026, 10:37 AM

ભક્તોનું ઘોડાપુર, દર્શન કરી ધન્યતા અનુભવી

રથયાત્રામાં ભારે ભીડ ઉમટી છે. જેના ડ્રોન દૃશ્યો સામે આવ્યા છે. નગરચર્યા પર નીકળેલા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. 

ahmedabad-rath-yatra-2026-live-12-16-july

16 Jul 2026, 10:29 AM

સરસપુરમાં ભક્તો માટે રસોડું તૈયાર

સરસપુરમાં ભગવાનના આગમનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. લુહાર શેરીમાં ભક્તો માટે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દવે પરિવાર દ્વારા મામેરું તૈયાર કરવામાં આવી રહ્યું છે. થોડીવારમાં મામેરું આવશે. 

ahmedabad-rath-yatra-2026-live-11-16-july

16 Jul 2026, 10:19 AM

ટેબ્લોમાં શ્રીકૃષ્ણની લીલાઓ, દ્વારકા મંદિરની ઝાંખી

અમદાવાદની 149મી અષાઢી બીજની રથયાત્રામાં 101 સુશોભિત ટ્રક (ટેબ્લો) સામેલ છે. ટેબ્લોમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, દ્વારકા મંદિરની ઝાંખીઓ જોવા મળી છે. સામાજિક અને ધાર્મિક થીમ આધારિત રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા આવ્યા છે. 18 શણગારેલા ગજરાજો (હાથી) અને 30 જેટલા અખાડા અને વિવિધ ભજન મંડળીઓ પણ જોડાયા છે.

16 Jul 2026, 10:09 AM

અખાડાઓ દ્વારા કરતબો દેખાડવામાં આવ્યા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિર્ધારિત રૂટ પર ધીમે ધીમે આગળ વધી રહી છે. ગજરાજ પાનકોર પહોંચ્યા છે. રથયાત્રા રૂટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. અખાડાઓ દ્વારા વિવિધ કરતબો દર્શાવવામાં આવી રહ્યાં છે.

ahmedabad-rath-yatra-2026-live-9-16-july

16 Jul 2026, 10:06 AM

ટ્રક રાયપુર મહાદેવ મંદિરથી આગળ વધ્યા


જમાલપુર વૈશ્ય સભા ખાતે ભગવાનના દર્શન કરવા માટે ભારે ભીડ ઉમટી છે. ભારે ભીડ ઉમટવાના કારણે રથયાત્રા અટવાઇ હતી અને ધીમે-ધીમે આગળ વધી રહી છે. રથ મંદિરની બહાર છે અને ભજન મંડળી હજી મંદિરમાંથી નીકળી નથી. અખાડા વૈશ્ય સભા પાસે પહોંચ્યા છે. ટ્રક રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિરથી આગળ વધ્યા છે. 

16 Jul 2026, 10:06 AM

ગજરાજ ઢાળની પોળ ખાતેથી પસાર થયા


રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. રથયાત્રા દરમિયાન અંગદાન મહાદાનનો સંદેશ આપતો ટ્રક જોડાયો છે. રથયાત્રાના સ્વાગતના પોસ્ટર સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પહોંચ્યા છે. ગજરાજ હાથીની પોળથી પસાર થયા છે. દોડે નહીં એ માટે અમુક હાથીના પંગ બાંધવામાં આવ્યા છે. 

16 Jul 2026, 10:05 AM

ટ્રકમાં વધુ લોકો બેસી જતા નીચે ઉતારાયા


જગન્નાથજીની 149મી રથયાત્રા નીજ મંદિરથી આગળ વધી રહી છે. રથયાત્રામાં શણગારેલા ટ્રકો, ગજરાજ જોડાયા છે. ગજરાજ જમાલપુરથી આગળ વધીને ખમાસા પહોંચ્યા છે. રથયાત્રા દરમિયાન એક ટ્રકમાં વધુ લોકે બેસેલા હોવાનું ધ્યાને આવતા સુરક્ષાના ભાગરુપે તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. 

16 Jul 2026, 10:05 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છેકે,અષાઢી બીજ ઉત્સવ અને 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આજે, ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ અને દેવી સુભદ્રા દરિદ્ર નારાયણ, ગરીબો અને તમામ ભક્તોને દર્શન આપવા માટે તેમના શહેરની શોભાયાત્રામાં નીકળ્યા છે. હું સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, કોર્પોરેશન સ્ટાફ, ફાયર બ્રિગેડ અધિકારીઓ અને આ રથયાત્રાના સફળ સંચાલનમાં સામેલ દરેકને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.

16 Jul 2026, 07:15 AM

ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાનો રથ બહાર નીકળ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોનાની સાવરણથી રથ જ્યાંથી પસાર થવાનો છે એ રસ્તો સાફ કર્યો હતો. પ્રથમ ભગવાન જગન્નાથના રથને ત્યારબાદ ભાઇ બલરામ અને પછી બહેન સુભદ્રાના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 

16 Jul 2026, 07:01 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મંદિર ખાતે પહોંચ્યા છે. ટૂક સમયમાં રથયાત્રા શરૂ કરવામાં આવશે. 

16 Jul 2026, 06:52 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  મંગળા આરતીમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથ રથયાત્રા નિમિત્તે શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપી હતી.

 

16 Jul 2026, 06:45 AM

મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ

ભગવાન થોડા સમયમાં નગરચર્યા પર નીકળશે. એ પૂર્વે મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. 

16 Jul 2026, 06:42 AM

ગજરાજની સુરક્ષા અને અવાજ નિયંત્રણ માટે ગાયરોમીટર

રથયાત્રામાં જોડાનાર 18 જેટલા ગજરાજ (હાથીઓ) વધુ પડતા અવાજથી ભડકે નહીં તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ સોફ્ટવેર તૈયાર કરીને ગજરાજ પર ગાયરોમીટર લગાવવામાં આવ્યા છે. જેનું સફળ ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. જો અવાજ નક્કી કરેલા ડેસિબલથી વધશે, તો સાધનો દ્વારા તેની જાણ થશે. આ ઉપરાંત, રથયાત્રાની 100-150 મીટર આગળ પોલીસની એક અલગ સ્ક્વોડ ચાલશે, જે ડીજે વગાડતા કે ફટાકડા ફોડતા લોકોને તાત્કાલિક અટકાવશે. પોલીસ જવાનોને પણ ગજરાજ નજીક સિસોટી (વ્હીસલ) ન વગાડવા કડક સૂચના આપવામાં આવી છે.

16 Jul 2026, 06:42 AM

જીપીએસ મેપિંગ અને 12 કંટ્રોલ રૂમથી મોનિટરીંગ

રથયાત્રાના તમામ વાહનો અને ટ્રકો પર જીપીએસ (GPS) સિસ્ટમ લગાવવામાં આવી છે અને તેનું જીઆઇએસ (GIS) મેપિંગ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવતા 8 પોલીસ સ્ટેશનો (ગાયકવાડ હવેલી, ખાડીયા, માધુપુરા, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, કારંજ) તેમજ તંબુ ચોકી અને સ્ટેટ લેવલની કચેરીઓ મળીને કુલ 12 જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ડેશબોર્ડ પરથી કયું વાહન ક્યાં પહોંચ્યું તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ અને ક્યુઆરટી (QRT) ટીમ માટે 1000 જેટલા વધારાના માણસો તૈનાત કરવામાં આવ્યા છે.

16 Jul 2026, 06:42 AM

અફવા ફેલાવનારાઓ પર ડાર્ક વેબ અને એઆઈ દ્વારા નજર રખાશે

સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર સાયબર ક્રાઇમની વિશેષ ટીમ સતત નજર રાખી રહી છે. એઆઈથી જૂના વીડિયોને નવા ગણાવીને વાયરલ કરનારા કે કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકા હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા 112 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે.

16 Jul 2026, 06:42 AM

નાના બાળકોના ખીસ્સામાં સરનામું અને મોબાઇલ લખેલી ચીઠ્ઠી રાખવી

પોલીસ કમિશનરે લોકોને ધક્કામુક્કી ન કરવા અને શાંતિથી દર્શન કરવા વિનંતી કરી છે. નાના બાળકો ભીડમાં ખોવાય નહીં તે માટે તેમના ખિસ્સામાં નામ, સરનામું અને મોબાઈલ નંબર લખેલી કાપલી રાખવા વાલીઓને સૂચન કરાયું છે. જેથી જરૂર પડ્યે પોલીસના સહાયતા કેન્દ્રો બાળકને સુરક્ષિત ઘરે પહોંચાડી શકે. મંગળા આરતીના લાઈવ દર્શન માટે મંદિરની બહાર એલઇડી (LED) સ્ક્રીન પણ મુકવામાં આવી છે. 

16 Jul 2026, 05:52 AM

ભગવાનને રથમાં બિરાજમાન કરાયા

મંગળા આરતી અને વિશિષ્ટ ખીચડી ભોગ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.

16 Jul 2026, 05:49 AM

મંદિરે ભક્તોની ભીડ ઉમટી

આજે જગન્નાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી છે. ભગવાનને વિશિષ્ટ ખીચડીનો ભોગ ધરાવાયો છે.

16 Jul 2026, 05:47 AM

અમિત શાહે મંગળા આરતી કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી.

16 Jul 2026, 12:06 AM

1200થી 1600 જેટલા ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે

ભગવાનનો રથ ખેંચવા માટે ખલાસી બંધુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને બહારના શહેરોમાંથી મોટી સંખ્યામાં ખલાસીઓ ખાસ અમદાવાદ આવે છે. આ વર્ષે મુંબઈ, સુરત, મહેમદાવાદ, વડોદરા, ખંભાત અને નડિયાદ જેવા વિવિધ શહેરોમાંથી આશરે 1200 થી 1600 જેટલા ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે અને ત્રણેય રથ ખેંચવાની સેવા આપશે. 

16 Jul 2026, 12:06 AM

આજે અમદાવાદમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આજે 16 જુલાઈ અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે રથયાત્રા દરમિયાન મેઘાવી માહોલ જોવા મળી શકે છે. 

16 Jul 2026, 12:05 AM

પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો

રથયાત્રા પહેલા પ્રસાદ મોકલવાની પરંપરા જે પીએમ નરેન્દ્ર મોદીએ જાળવી રાખી છે. પીએમ મોદી દર વર્ષે રથયાત્રાના એક દિવસ પૂર્વે દિલ્હીથી ભગવાન જગન્નાથજી માટે મગ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો ખાસ પ્રસાદ મોકલે છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે શરૂ કરેલી આ પરંપરા આજે પણ દિલ્હીમાં રહીને અખંડ જાળવી રાખી છે.

16 Jul 2026, 12:05 AM

નાયબ મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અમદાવાદ હોય, ભાવનગર હોય, આણંદ જિલ્લો હોય કે પછી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલે ખૂબ જ ઉત્સાહપૂર્વક નીકળે તે માટેની વ્યવસ્થાઓ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આપ સૌ લોકોને ભગવાન જગન્નાથજી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. રાજ્યના સૌ નાગરિકોને ભગવાન જગન્નાથજીના દર્શન સારી રીતે થઈ શકે તે માટેની પણ શુભકામનાઓ.

16 Jul 2026, 12:04 AM

મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવશે

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને પગલે 5000 કિલો ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવશે. ઓર્કિડ અને લીલી સહિત વિવિધ ફૂલોનો શણગાર કરાશે.  ગલગોટા અને સૂર્યમુખીના ફૂલોથી પણ મંદિરને સુશોભવામાં આવશે. ત્યારે અશોકના પાન અને કામિનીથી વિશેષ સજાવટ કરવામાં આવશે. અશોકના પાન, કામિનીથી વિશેષ સજાવટ ભગવાનની કરવામાં આવશે.