લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશે, બાપ્પાના ચરણસ્પર્શ દર્શનનો લ્હાવો મળશે

પ્રથમવાર ચરણસ્પર્શ દર્શનનો અલૌકિક અવસર - લાખિયાની પોળ, ખાડિયા ગેટ પાસે ભાવિકોને મળશે. આ દિવ્ય સ્વરૂપ 10 દિવસ માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ગણેશભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 13 Sep 2026 11:50 AM (IST)Updated: Sun, 13 Sep 2026 11:50 AM (IST)
ahmedabad-ganesh-chaturthi-2026-khadiya-na-ganraj-grand-ganesh-idol-installation-in-city-for-the-first-time

Ahmedabad Ganesh Chaturthi 2026: જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે... અને જ્યાં ભક્તિમાં ભાવ ભળે છે ત્યાં એક નાનકડો પ્રસંગ પણ ભક્તો માટે જીવનભરની યાદ બની જાય છે. આ વર્ષે અમદાવાદમાં ખાડિયા ગેટ પાસે લાખિયાની પોળની પાવન ધરતી પર આવો જ એક અવિસ્મરણીય અને ભાવવિભોર કરી દેનારો અવસર સર્જાઈ રહ્યો છે. મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન ગણેશ ચતુર્થીના રોજ તા. 14 સપ્ટેમ્બર, 2026, સોમવારના રોજ સવારે 11:30 કલાકે કરવામાં આવશે.

શ્રી ગણેશજીને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને બુદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. ગણપતિ બાપ્પાના દર્શન માત્રથી મનને શાંતિ મળે છે અને તેમના ચરણોમાં શીશ ઝુકાવવાથી ભક્તના હૃદયને એક અનોખી આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. ત્યારે આ વર્ષે ‘ખાડિયાના ગણરાજ’ના પાવન ચરણસ્પર્શ દર્શનનો અવસર મળવો એ ભાવિકો માટે વિશેષ સૌભાગ્ય છે.

‘ખાડિયાના ગણરાજ’ના આ ભવ્ય આયોજનનું સૌથી વિશેષ અને ભાવનાત્મક પાસું એ છે કે, ગુજરાતમાં પ્રથમવાર ભાવિકોને ભગવાન શ્રી ગણેશજીના ચરણસ્પર્શ દર્શનનો લ્હાવો મળી શકશે. ભગવાન શ્રી ગણેશજીનું આ દિવ્ય સ્વરૂપ 10 દિવસ માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ગણેશભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે. શ્રી ગણેશજીનું વિસર્જન તા. 25 સપ્ટેમ્બર, 2026, શુક્રવારના રોજ બપોરે 12:30 કલાકે કરવામાં આવશે.

ભગવાનના પાવન ચરણોના દર્શન કરીને, તેમના ચરણસ્પર્શથી આશીર્વાદ મેળવીને મનની મનોકામનાઓ ગણરાજના ચરણોમાં અર્પણ કરવાનો આ અવસર ભક્તો માટે અત્યંત પાવન બની રહેશે. જેમ સંતાન પોતાના માતા-પિતાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે, તેમ ભક્ત પોતાના ગણરાજના ચરણોમાં માથું નમાવીને જીવનના તમામ વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી શકશે. આ માત્ર દર્શન નહિ, પણ આસ્થાને સ્પર્શવાનો, ભક્તિને અનુભૂતિનો અને ગણરાજના ચરણોમાં પોતાની શ્રદ્ધા અર્પણ કરવાનો અવસર છે.

અષ્ટ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સત્સંગના અગ્રણીઓ અને લોકભાગીદારો દ્વારા આયોજિત આ ખાડિયા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં અમદાવાદની તમામ ભાવિક જનતાને પરિવારજનો અને સ્નેહીજનો સાથે પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ગણેશોત્સવને માત્ર ઉત્સવ તરીકે નહીં, પરંતુ ભક્તિ અને ભાવનાના પર્વ તરીકે ઉજવવા અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.