Ahmedabad Jagannath Rath Yatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સેંકડો દર્શનાર્થીઓ, ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સમગ્ર રથયાત્રાનો કાફલો અંદાજે 3 કિલોમીટર લાંબો છે, જેમાં 18 ગજરાજ અને 103 જેટલા ટ્રક સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખીઓ જોડાઈ છે. આ વર્ષે પણ શણગારેલા ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
શણગારેલા ટ્રકોમાં સામાજિક સંદેશા આપ્યા
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા ટ્રકોમાં આ વર્ષે વિવિધ સામાજિક અને વૈશ્વિક સંદેશા આપવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રક ઓનર્સ એસોસિયેશન દ્વારા અંદાજે 103 ટ્રકોના ભવ્ય કાફલાને ગોવર્ધન પર્વત, રાજમહેલ અને સામાજિક જાગૃતિના સંદેશા જેવી આકર્ષક થીમ સાથે શણગારવામાં આવ્યા છે.

ફૂલોથી શણગારેલા ભવ્ય ટ્રક આકર્ષણનું કેન્દ્ર
આ ઉપરાંત, વૃક્ષારોપણનો સંદેશ આપતો ટ્રક, ચાર વેદોનો સંદેશ આપતો ટ્રક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બતાવતા હોય તેવા કટ આઉટ સાથેનો ટ્રક પણ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાથે જ ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખી કરાવતા ટ્રકો પણ રથયાત્રામાં જોડાયા છે. આ ટ્રકો પર વિવિધ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે.

એક વિશેષ ટ્રકમાં ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત શાંતિ ઈચ્છતો હોવાનો સંદેશો આપવામાં આવ્યો છે. તેમાં ભક્તો દ્વારા ખાસ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં 'પ્રભુ અમે કરીએ રથ તૈયાર, પેટ્રોલ-ડીઝલ-ગેસના જહાજો લાવો હોર્મુઝ પાર' એવું લખાણ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મઝથી ટેન્કર ખેંચી લાવતા જગન્નાથજીના પોસ્ટર દર્શાવવામાં આવ્યા છે.

મગ-જાંબુનો પ્રસાદ લેવા નાગરિકો ઉમટ્યા
અમદાવાદ પોલીસ કમિશનર અને JCP ક્રાઈમે શણગારેલા ટ્રકોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ શણગારેલા ટ્રકો AMC ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભક્તો 'જય રણછોડ માખણ ચોર' ના નાદ સાથે ટ્રકોના કાફલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ રીતે સેંકડો ભક્તો અમદાવાદની 149 મી રથયાત્રાની મજા માણી રહ્યા છે.


આ ટ્રકો ભક્તો માટે મુખ્ય પ્રસાદ વિતરણની કામગીરી પણ સંભાળી રહ્યા છે, જેમાં ભક્તો ટ્રકોમાંથી આવતી ચોકલેટ, મગ અને પ્રસાદી લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના આ ટ્રકો પર સતત નજર રાખવા માટે CCTV વાન પણ કાફલામાં જોડાઈ છે.

અમદાવાદ રથયાત્રાનો રૂટ અને સમયપત્રક
આજે 16 જુલાઈએ સવારે 7 વાગ્યે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. બપોરના સમયે સરસપુર ખાતે ભગવાનનો પરંપરાગત વિસામો યોજાશે અને ત્યારબાદ સાંજે અંદાજે 8 વાગ્યે રથયાત્રા ફરીથી નિજ મંદિરે પરત ફરશે. શ્રદ્ધા અને ભક્તિના આ પવિત્ર માહોલમાં લાખોની સંખ્યામાં શહેરીજનો રથયાત્રાના દર્શનનો લાભ લઈ રહ્યા છે.

