સંસદની કાર્યવાહી સરળ ભાષામાં સમજો: પ્રશ્નકાળથી લઈને પ્રસ્તાવ સુધી, જાણો દરેક સામાન્ય નાગરિક માટે ઉપયોગી શબ્દાવલી

ટીવી અને સમાચારમાં આપણે વારંવાર પ્રશ્નકાળ, શૂન્યકાળ કે સ્થગિત પ્રસ્તાવ જેવા શબ્દો સાંભળીએ છીએ. પરંતુ સામાન્ય નાગરિક તરીકે આ શબ્દોનો સાચો અર્થ જાણવો અત્યંત જરૂરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 13 Sep 2026 02:13 PM (IST)Updated: Sun, 13 Sep 2026 02:13 PM (IST)
parliament-terms-explained-question-hour-zero-hour-motion-guide
ભારતીય સંસદના નિયમો

Indian Parliament Rules: ભારતીય લોકશાહીમાં સંસદ એ દેશનું સૌથી સર્વોચ્ચ ગૃહ છે, જ્યાં દેશના ભવિષ્ય અને નીતિઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. ટીવી અને સમાચારમાં આપણે વારંવાર પ્રશ્નકાળ, શૂન્યકાળ કે સ્થગિત પ્રસ્તાવ જેવા શબ્દો સાંભળીએ છીએ. પરંતુ સામાન્ય નાગરિક તરીકે આ શબ્દોનો સાચો અર્થ જાણવો અત્યંત જરૂરી છે.

1) પ્રશ્નકાળ (Question Hour)

ગૃહની કાર્યવાહી શરૂ થાય ત્યારે નક્કી કરવામાં આવેલો સમય, જેમાં સાંસદો સરકારને કામગીરી અંગે પ્રશ્નો પૂછે છે અને સંબંધિત મંત્રી તેના જવાબો આપે છે.

2) શૂન્યકાળ (Zero Hour)

પ્રશ્નકાળ પછીનો સમય, જેમાં સાંસદો પૂર્વ નોટિસ વગર તરત જ જાહેરહિતના મહત્વના મુદ્દા ઉઠાવે છે. આ એક ભારતીય સંસદીય પરંપરા છે, નિયમપુસ્તિકામાં તેનો ઉલ્લેખ નથી.

3) તારાંકિત પ્રશ્ન (Starred Question)

એવો પ્રશ્ન જેનો જવાબ મંત્રી ગૃહમાં મૌખિક બોલીને આપે છે. આ પછી સાંસદ પૂરક પ્રશ્ન પણ પૂછી શકે છે. આવા પ્રશ્નની આગળ '*' ની નિશાની હોવાથી તેને તારાંકિત કહેવાય છે.

4) અતારાંકિત પ્રશ્ન (Unstarred Question)

એવો પ્રશ્ન જેનો જવાબ મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવે છે. આમાં સાંસદને ગૃહમાં આગળ કોઈ પૂરક પ્રશ્ન પૂછવાની તક મળતી નથી.

5) સ્થગિત પ્રસ્તાવ (Adjournment Motion)

કોઈ દેશવ્યાપી કે ગંભીર અને તાકીદના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગૃહનું પૂર્વ નિર્ધારિત નિયમિત કામકાજ રોકવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે.

6) ધ્યાનાકર્ષક પ્રસ્તાવ (Calling Attention Motion)

જાહેરહિતના કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર સરકાર કે મંત્રીનું ધ્યાન દોરવાની આ એક પ્રક્રિયા છે. મંત્રી આના પર ગૃહમાં પોતાનું નિવેદન આપે છે, જેના માટે ગૃહનું કામ રોકવું જરૂરી નથી હોતું.

7) વિશેષાધિકાર પ્રસ્તાવ (Privilege Motion)

જ્યારે કોઈ મંત્રી કે સાંસદ દ્વારા ગૃહ અથવા તેના સભ્યોના વિશેષાધિકારનું ઉલ્લંઘન થયું હોય કે ખોટી માહિતી આપવામાં આવી હોય, ત્યારે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે.

8) કાર્ય વ્યવસ્થાનો પ્રશ્ન (Point of Order)

જ્યારે કોઈ સાંસદને લાગે કે ગૃહની કામગીરી નક્કી કરેલા નિયમો મુજબ ચાલી રહી નથી, ત્યારે બંધારણીય નિયમો જાળવવા માટે તેઓ આ મુદ્દો ઉઠાવે છે.