Sunjay Kapur Property Fight: સ્વ. ઉદ્યોગપતિ સંજય કપૂરની આશરે રૂ. 30,000 કરોડની સંપત્તિ પર વારસાની લડાઈ વધારે તીવ્ર બની છે અને દિલ્હી હાઈ કોર્ટે પારદર્શકતાની માંગણી કરી છે. તેમના બાળકો સમાઇરા (20) અને કિયાન (15)નું પ્રતિનિધિત્વ તેમની માતા કરિશ્મા કપૂર કરે છે, જેમણે વસિયતનામું દબાવવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ વસિયતનામું સંજય કપૂરનાં મૃત્યુના સાત અઠવાડિયા પછી જાહેર કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, અગાઉ આવું કોઈ વસિયતનામું ન હોવાનું કહેવામાં આવ્યું હતું.
ટ્રસ્ટ પર વસિયતનામું
વરિષ્ઠ વકીલ અને કરિશ્મા કપૂરના બાળકોના વકીલ મહેશ જેઠમલાણીએ આગ્રહપૂર્વક જણાવ્યું છે કે, કાયદેસર વિવાદ ટ્રસ્ટમાંથી લાભ સાથે સંબંધિત નથી, પરંતુ પોતાના પિતાની વ્યક્તિગત સંપત્તિઓમાં પોતાના કાયદેસર વારસા મારફતે બાળકોનું ભવિષ્ય સલામત કરવા સાથે સંબંધિત છે. જેઠમલાણીએ કહ્યું હતું કે- આ કાયદાકીય વિવાદ સંજય કપૂરના બાળકોનું ભવિષ્ય સલામત કરવાને તથા ભારત અને વિદેશમાં તેમની સંપત્તિઓમાં ઉચિત હિસ્સો સુનિશ્ચિત કરવા સાથે સંબંધિત છે.
આ કેસનું હાર્દ માર્ચ, 2025નું વસિયતનામું છે, જેમાં સ્વ. સંજય કપૂરની તમામ વ્યક્તિગત સંપત્તિ તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવને મળી હોવાનું કહેવાયું છે. જોકે કથિત વસિયતનામું ન તો રજિસ્ટર થયું છે, ન તેને કાયદેસર માન્યતા મળી છે તથા જ્યારે માંગવામાં આવ્યું, ત્યારે બાળકોને આપવાનો ઇનકાર કર્યો છે. સંજય કપૂરની 12 જૂન, 2025ના રોજ સંપત્તિઓની સંપૂર્ણ યાદી સાથે કથિત વસિયતનામાનો ખુલાસો દિલ્હી હાઈ કોર્ટની સૂચના પછી કરવામાં આવશે.
સંજય કપૂરના બાળકોને રૂ. 1,900 કરોડની ચુકવણીનો પ્રશ્ર
પ્રિયા સચદેવ કપૂરના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં એવો દાવો કર્યો હતો કે બાળકોને આર કે પારિવારિક ટ્રસ્ટમાંથી રૂ. 1,900 કરોડ મળી ગયાં છે. જોકે સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ આંકડો સોના કોમસ્ટારના શેરનાં મૂલ્ય પર આધારિત છે અને બાળકોને હજુ કોઈ હિસ્સો મળ્યો નથી, જે ટ્રસ્ટ પાસે જ છે. આ સંપત્તિઓનું નિયંત્રણ ટ્રસ્ટમાં પ્રિયા સચદેવ કપૂરના હાથમાં રહેશે અને બાળકો તે મેળવવાની પહોંચ ધરાવતા નથી.
આ પરિપ્રેક્ષ્યમાં મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે- ધારો કે સંપત્તિ રૂ. 30,000 કરોડની છે અને બાળકોને આર કે ટ્રસ્ટમાંથી રૂ. 1,900 કરોડ મળશે એવું માનીએ, તો પણ પ્રિયા સચદેવ કપૂર પાસેની રૂ. 28,000 કરોડથી વધારે સંપત્તિનો પ્રશ્ર ઊભો જ રહે છે. શું તેઓ એ સંપત્તિમાં સારો એવો હિસ્સો આપવા તૈયાર છે? કોઈ પણ વ્યક્તિએ આ મુદ્દો સમજવો પડશે અને આ કાયદેસર સંપત્તિ તમામ પાંચ ક્લાસ 1 વારસદારોને ન્યાયસર મળે એ સુનિશ્ચિત કરવું પડશે, જેમાં કરિશ્મા અને સંજય કપૂરના બંને બાળકોને સંપત્તિમાંથી ઉચિત હિસ્સો મળે એ બાબત સામેલ છે.
કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાંથી પ્રાપ્ત અહેવાલો મુજબ, બાળકોને અત્યાર સુધી વારસાની નકલ આપવામાં આવી નથી, ન તો તેમની પાસે પિતાની વ્યક્તિગત સંપત્તિ પર સ્પષ્ટતા છે. આ કારણસર પારદર્શકતા, વાજબીપણાં અને વારસાગત સંપત્તિના વિવાદમાં બાળકોના અધિકાર સાથે સંબંધિત તાત્કાલિક પ્રશ્રો ઊભા થયાં છે, જેમાંથી એકથી વધારે પરિવાર સંકળાયેલા છે.
