Ranbir Kapoor: બોલિવૂડની મચ એવટેડ ફિલ્મ 'રામાયણ' જ્યારથી પ્રથમ ઝલક સામે આવી છે, ત્યારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ કુલ બે ભાગમાં રિલીઝ થવાની છે. પ્રથમ ભાગ દિવાળી 2026 પર રિલીઝ થશે, જેનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor) ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, રણબીર કપૂર આ ફિલ્મમાં એક કે બે નહીં, પરંતુ ત્રણ ભૂમિકાઓમાં જોવા મળવાનો છે.
ફિલ્મ 'રામાયણ'માં ભગવાન શ્રી રામના રોલમાં રણબીર કપૂર અને રાવણ તરીકે યશ જોવા મળશે. હાલમાં જ રિલીઝ થયેલો આ ફિલ્મનો એક વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ખાસ વીડિયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.
રણબીર કપૂર કુલ કેટલા પાત્રો ભજવશે?
પીપિંગમૂનના રિપોર્ટ અનુસાર, 2024માં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું હતું. જે મુજબ રણબીર કપૂર ફિલ્મમાં માત્ર ભગવાન શ્રી રામ જ નહીં, પણ મહર્ષિ પરશુરામની ભૂમિકા પણ ભજવતો જોવા મળશે. આ પાત્ર વિશેષરૂપે તે દૃશ્યમાં જોવા મળશે, જ્યારે શ્રી રામે માતા સીતાના સ્વયંવર દરમિયાન ભગવાન શિવનું ધનુષ્ય તોડ્યું હતું અને પરશુરામ રોષે ભરાઈને આવ્યા હતા. ફિલ્મમાં આ ભાગ ખાસ રીતે બતાવવામાં આવશે.
ભગવાન શ્રી રામ અને મહર્ષિ પરશુરામ બંને ભગવાન વિષ્ણુના અવતાર છે, નિર્માતાઓએ બંને રોલની જવાબદારી રણબીર કપૂરને સોંપી છે. હવે, ફિલ્મના ટીઝર અને ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ, રણબીરના ટ્રિપલ રોલની અટકળો વધુ મજબૂત બની છે.
ફિલ્મના ફર્સ્ટ લુકમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની નેબ્યુલાનુમા ઝલક રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુના રૂપને જોઈને લોકોમાં ચર્ચા છે કે રણબીર કપૂર આ પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુનું પાત્ર મુખ્ય હશે, તો શક્ય છે કે નિર્માતાઓએ રણબીરને તેનો રોલ આપ્યો હોય. જો એવું થાય, તો ચાહકોને રણબીર કપૂરને ટ્રિપલ રોલમાં જોવા મળશે. હાલ તો બધાની નજર નિર્માતાઓની સત્તાવાર જાહેરાત પર છે, કારણ કે તે પછી જ રણબીરના તમામ પાત્રો અંગે સ્પષ્ટતા થશે.
