Laalo: ભગવાનની લીલા કે અલૌકિક ચમત્કાર? શ્રુહદ ગોસ્વામીએ ખોલ્યા લાલો ફિલ્મના રહસ્યો

ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવવું શ્રુહદ ગોસ્વામી માટે સરળ નહોતું. શરૂઆતમાં તેઓ ખૂબ અચોક્કસ અને ઓછા આત્મવિશ્વાસવાળા હતા. તેમને લાગતું હતું કે કૃષ્ણનું પાત્ર ખૂબ મુશ્કેલ છે.

By: Jagran GujaratiPublish Date: Thu, 18 Dec 2025 01:22 PM (IST)Updated: Thu, 18 Dec 2025 01:22 PM (IST)
gujarati-movie-laalo-krishna-sada-sahaayate-secrets-revealed-by-shruhad-goswami

Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ જગતમાં 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' એ એક અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. મર્યાદિત બજેટમાં બનેલી આ ભક્તિમય ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું હૃદયસ્પર્શી પાત્ર ભજવનાર અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે આ સફળતા પાછળ માનવીય પ્રયાસો કરતાં કોઈ અલૌકિક ઊર્જા કામ કરી રહી છે. તેમના મતે, "આ ફિલ્મ બની નથી, થઈ ગઈ છે!"

ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવવું શ્રુહદ ગોસ્વામી માટે સરળ નહોતું. શરૂઆતમાં તેઓ ખૂબ અચોક્કસ અને ઓછા આત્મવિશ્વાસવાળા હતા. તેમને લાગતું હતું કે કૃષ્ણનું પાત્ર ખૂબ મુશ્કેલ છે, કારણ કે અન્ય પાત્રોમાં કલાકાર પોતાનું સર્જન કરી શકે છે, પરંતુ અહીં ભગવાન તો પહેલેથી જ અસ્તિત્વમાં છે. તેમણે કહ્યું કે આ પાત્રમાં નિષ્ફળતાનો કોઈ અવકાશ જ નહોતો. તૈયારી માટે તેમણે સંપૂર્ણ આંતરિક પ્રક્રિયા અપનાવી – પોતાની અંદરના ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને લાલાના મિત્ર તરીકે આવેલા કૃષ્ણની ભાષા સમજવાનો પ્રયાસ કર્યો.

શૂટિંગ દરમિયાન મર્યાદિત સંસાધનો વચ્ચે અનેક અણધારી ઘટનાઓ બની, જેને ટીમે દૈવી મદદ ગણી. એક વખત કેમેરો હાથમાંથી પડી ગયો અને તૂટી ગયો જણાયો, પરંતુ તે ચાલુ હતો અને શૂટિંગ તરત જ શરૂ થયું. દ્વારકા, સોમનાથ અને માધુપુર જેવા સ્થળોએ શૂટ કરેલા ડેટા કરપ્ટ થયા પછી પણ તેની રિકવરી થઈ ગઈ. એક મહત્વના ગીતના 50-60 ટકા ફૂટેજ ડીલીટ થઈ ગયા, જેના કારણે ફ્લેશબેક ઉમેરવા પડ્યા, પરંતુ પાછળથી લાગ્યું કે આનાથી ફિલ્મ વધુ સારી બની. લોકેશન્સ પણ જાણે રેડીમેડ મળતા હતા – ગીતમાં ગાયનું દ્રશ્ય કે ખુલ્લા દરવાજા જેવી વિગતો.

શ્રુહદ ગોસ્વામીએ સ્વીકાર્યું કે તેઓ સામાન્ય રીતે પોતાના પર્ફોર્મન્સ યાદ રાખે છે, પરંતુ આ ફિલ્મના મોટા ભાગના સીન્સ તેમને યાદ નથી. તેમને લાગે છે કે "આ મેં ક્યારે કર્યું? મને કેમ યાદ નથી?" તેમનું માનવું છે કે આ કોઈ વિચારીને થઈ શકે તેમ નથી, તે તો કોઈક અલૌકિક ઊર્જાનું કામ છે.

ફિલ્મમાં કૃષ્ણને વલ્નરેબલ અને સંવેદનશીલ બતાવવામાં આવ્યા છે – તે લાલાને જોઈને દુઃખી થાય છે, હગ કરે છે અને રડે પણ છે. આનાથી દર્શકોને લાગે છે કે ભગવાન સાથે જોડાવું ખૂબ સરળ છે. ડિરેક્ટર અંકિત સખીયાએ શ્રુહદ ગોસ્વામીને અભિનયમાં પૂરી સ્વતંત્રતા આપી હતી અને માત્ર એક જ સૂચના આપી: "સ્માઇલ! સ્માઇલ મિસ ના કરો." એક મહત્વના હગના સીન માટે ચાર દિવસ લાગ્યા, કારણ કે સૂર્યાસ્તની માત્ર થોડી મિનિટોની વિન્ડો હતી.