Bhagam Bhag 2: બોલિવૂડની ઓલ-ટાઇમ ફેવરિટ અને કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ 'ભાગમ ભાગ' ની સિક્વલને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. વર્ષ 2006 માં રિલીઝ થયેલી મૂળ ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ, હવે 'ભાગમ ભાગ 2' (Bhagam Bhag 2) અંગે નિર્માતાઓ તરફથી એક મોટું અને સત્તાવાર અપડેટ સામે આવ્યું છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત મૂળ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની ત્રિપુટીએ દર્શકોને હસાવી-હસાવીને લોથપોથ કરી દીધા હતા. હવે આ સુપરહિટ ફ્રેન્ચાઇઝી નવા અંદાજમાં મોટા પડદા પર પાછી ફરવા માટે તૈયાર છે.
દિગ્દર્શક રાજ શાંડિલ્ય અને પરેશ રાવલનો મોટો સંકેત
'ભાગમ ભાગ 2' ની ચર્ચા ગયા વર્ષથી ફિલ્મ વર્તુળોમાં ચાલી રહી હતી, પરંતુ આ વખતે સિક્વલની કમાન પ્રિયદર્શનના બદલે 'ડ્રીમ ગર્લ' ફેમ પ્રખ્યાત દિગ્દર્શક રાજ શાંડિલ્ય સંભાળવાના છે. તાજેતરમાં જ રાજ શાંડિલ્યએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક સૂચક પોસ્ટ શેર કરી છે, જેણે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. તેમણે લખ્યું છે કે, "બસ થોડી રાહ જોવાની બાકી છે, અને પછી બધા સિગ્નલ ખુલવાના છે."
આ ટ્વિટમાં તેઓ મૂળ ફિલ્મના સુપરહિટ ગીત "પ્યાર કા સિગ્નલ" તરફ ઈશારો કરી રહ્યા છે. આ પોસ્ટને વધુ મજબૂતાઈ ત્યારે મળી જ્યારે મૂળ ફિલ્મના મુખ્ય કલાકાર અને દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે "આમીન" શબ્દ લખીને આ ટ્વિટને રીટ્વીટ કર્યું. આ જોતાં સ્પષ્ટ થાય છે કે નિર્માતાઓ ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવા જઈ રહ્યા છે.
અક્ષય કુમારની એન્ટ્રી પાકી, કાસ્ટિંગમાં મોટો ફેરફાર
અહેવાલો અનુસાર, સુપરસ્ટાર અક્ષય કુમાર આ સિક્વલનો મુખ્ય હિસ્સો છે તે વાત પહેલાથી જ કન્ફર્મ થઈ ચૂકી છે. અક્ષય કુમાર આગામી સમયમાં 'ભૂત બાંગ્લા' અને 'વેલકમ ટુ ધ જંગલ' જેવી કોમેડી ફિલ્મો ઉપરાંત હવે 'ભાગમ ભાગ ૨' માં પણ પોતાની અનોખી કોમેડી ટાઈમિંગથી ધમાકો મચાવશે.
જોકે, આ વખતે કાસ્ટિંગમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. બોલિવૂડના અહેવાલો મુજબ, આ સિક્વલમાં સુપરસ્ટાર ગોવિંદા કદાચ જોવા નહીં મળે અને તેમના સ્થાને વર્સેટાઈલ અભિનેતા મનોજ બાજપેયીને કાસ્ટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો કે, મનોજ બાજપેયીની એન્ટ્રી અંગે હજુ સુધી નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ મનોરંજક અપડેટે સિનેમાપ્રેમીઓમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો કરી દીધો છે.
