Anant Ambani Birthday Celebration Jamnagar: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આવતીકાલે એટલે કે 10 એપ્રિલ, 2026 ના રોજ પોતાનો 31મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે જામનગર ફરી એકવાર વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનંતના જન્મદિવસને યાદગાર બનાવવા માટે જામનગરના પ્રખ્યાત 'વનતારા' ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાજરી આપવા માટે બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓનો જમાવડો શરૂ થઈ ગયો છે.
જામનગરમાં સેલિબ્રિટીઝનું 'રેડ કાર્પેટ' સ્વાગત
અનંત અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા માટે બોલિવૂડના ત્રણેય ખાન પૈકી શાહરૂખ ખાન અને સલમાન ખાન જામનગર પહોંચી ચૂક્યા છે. શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન, પુત્ર અબરામ અને પેટ ડોગ સાથે સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો. બીજી તરફ, સલમાન ખાન પણ પોતાના બનેવી આયુષ શર્મા સાથે જામનગર આવી પહોંચ્યો છે.
આ સાથે જ રણવીર સિંહ સફેદ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યારે કાજોલ પુત્રી ન્યાસા દેવગણ સાથે રવાના થઈ હતી, તેમજ અનન્યા પાંડે, શનાયા કપૂર, અગસ્ત્ય નંદા અને નુપુર સેનન જેવા યુવા કલાકારો સાથે બોની કપૂર, રીતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ, બોમન ઈરાની અને સ્ટેબીન બેન પણ મહેમાન તરીકે જોડાયા છે.
ભવ્યતા સાથે સેવાકીય ભાવનાનો સંગમ
અનંત અંબાણીનો જન્મદિવસ માત્ર ભવ્ય ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સેવાકીય અને આધ્યાત્મિક ભાવનાનો પણ સંગમ જોવા મળ્યો છે, જેમાં તેમણે ઉજવણી પહેલાં દિલ્હીની એક પ્રાચીન ગૌશાળામાં 2,000 ગાયોને ચારો ખવડાવી 'ગૌ સેવા' કરી, મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં માતા-પિતા સાથે ગણેશજીના આશીર્વાદ લીધા અને આ અવસર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા જિયોના કર્મચારીઓ માટે ખાસ લંચનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
'વનતારા' ખાતે ખાસ આયોજન
અનંત અંબાણીના હૃદયની અત્યંત નજીક ગણાતા એનિમલ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર 'વનતારા' ખાતે આ વર્ષનો જન્મદિવસ ઉજવવામાં આવશે. પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમને જોતા આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.
