ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
માંગરોળ બેઠકની રસપ્રદ વિગત
માંગરોળ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 156 નંબરની બેઠક છે. માંગરોળ બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. માંગરોળ તાલુકો સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. માંગરોળ આ તાલુકાનું મુખ્ય મથક છે. મહુવા માં 91 જેટલા ગામો આવેલા છે. માંગરોળમાં મુખ્ય પાકો ઘઉં, જુવાર, મકાઈ, બાવટો, તુવેર, ચણા, મગ, અડદ,શેરડી, ડાંગર છે. એક સમયે આ બેઠક કોંગ્રેસ સમર્પિત હતી પરંતુ 1995માં આ બેઠક પર ભાજપના રમણભાઈ ચૌધરીએ કોંગ્રેસના મગનભાઈ વસાવાને હરાવીને ભાજપનું ખાતું ખોલ્યું હતું. 2002થી 2017 સુધીની સળંગ 4 ટર્મથી ગણપત વસાવા આ બેઠક પર ચૂંટણી જીત્યા છે.
7 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 પુરુષ અને 2 મહિલા મળી કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 7 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 5 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે માંગરોળ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પણ 1995થી ભાજપનો આ સીટ પર દબદબો રહ્યો છે. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા અહીં છેલ્લી ચાર ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેવામાં જોવાનું રહેશે કે આ વખતે ગણપત વસાવાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે છે કે કેમ.
આ બેઠક પર 2022માં કેટલા મતદારો
માંગરોળ બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 114506, સ્ત્રી મતદારો 110961, જ્યારે અન્યોની સંખ્યા 3 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 225470 છે.
બે તબક્કામાં મતદાન
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
