કાલોલ. Gujarat Assembly Election 2022:
આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 બેઠકો મતદાન થઇ રહ્યું છે. પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલોલ ખાતે ચૂંટણી સભાને સંબોધી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવાનું આહવાહન કર્યું હતું.
PM નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી શાંતિ પુર્વક મતદાન ચાલી રહ્યું છે. માં કાલીના ચરણોમાં આવ્યો છું ત્યારે જે બેઠક પર મતદાન થઇ રહ્યું છે તે જોઇ લાગે છે બધા જૂના રેકોર્ડ તૂટશે. આ વખતની ચૂંટણી પ્રચારમાં જે વિસ્તારમાં જવાનો અવસર મળ્યો ત્યાં જનતામાં ભાજપની સરકાર ફરી બનશે તેવો વિશ્વાસ જોવા મળ્યો હતો. ચારેય તરફ લોકો એક જ વાત કહે છે કે ફિર એક બાર મોદી સરકાર. G-20 સમિટિના પ્રમુખ પદે આજથી ભારત બિરાજમાન થયું છે ત્યારે માં કાળી માતાના આશીર્વાદ મળે તે સોનામાં સુંગધ ભળી છે. G-20 સમિટિમાં સામેલ દેશો દુનિયાની અંદર સૌથી વધુ આર્થિક ગતિવિધિ કરનારા દેશો છે જેની અધ્યક્ષતા ભારત કરશે. આ વાત દેશના નાગરિકો માટે ગર્વની વાત છે. દેશને આત્મનિર્ભર બનાવવા કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કાલોલ, હાલોલ, ગોધરા, દાહોદ આખો પટ્ટો એક મોટી તાકાત સાથે ઉભરી રહ્યો છે. એક જમાનો હતો નાની-નાની વસ્તુ પણ આપણે વિદેશથી મંગાવતા. કોંગ્રેસના રાજમાં પહેલા એક એવી ઇકોસિસ્ટમ બની ગઇ હતી કે બહારથી માલ લાવે તેમાંથી કટકી કરો તમારી દુનિયા ચલાવો દેશનું જે થવું હોય તે થાય અને એના કારણે રોજગાર માટેની તકો ઉભી ન થઇ. કોંગ્રસને ગુજરાતમાં રોજગારી વધે તેમાં રસ હતો જ નહીં. જ્યોતિગ્રામ યોજનાનું લોકાર્પણ કાલોલથી કર્યું હતું. ભાજપે આ સ્થિતિ બદલાવા એક પછી એક નીતિ બદલી કારણ કે નિયતમાં ખોટ ન હતી અને નિયતમાં ખોટ ન હોય ત્યારે નીતિ ખોટી ન હોય નીતિ સાચિ હોય તો રણનિતિ સાચી હોય.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સરકારમાં પહેલા એક ટેલીફોનની લાઇન નખાવી હોય તો સાંસદ પાસે પત્ર લખાવવો પડતો હતો. પહેલા મોબાઇલ ફોન વિદેશથી મંગાવતા હતા. ભારત મોબાઇલની દુનિયામાં ક્રાંતિ કરશે તે 2014 પહેલા કોઇએ વિચાર્યું ન હતું. 2014માં જ્યારે ભાજપની કેન્દ્રમાં સરકાર બની ત્યારે મોબાઇલની બે ફેક્ટરીઓ હતી. આજે 200 કરતા વધુ છે. દુનિયામાં સૌથી વધુ મોબાઇલ ફોનના ઉત્પાદન કરી રહ્યા છીએ. પોણા ત્રણ લાખ કરોડના મોબાઇલ ફોન બની રહ્યા છે. આજે ફોન એક્સપોર્ટ થઇ રહ્યા છે. પંચમહાલ જીલ્લાનું આર્થિક કેન્દ્ર કાલોલ અને હાલોલ છે. આજે પંચમહાલ જીલ્લામાં 30 હજાર કરોડ રૂપિયાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન થાય છે. આ વર્ષ અંદાજે નવ હજાર કરોડ રૂપિયાનો માલ પંચમહાલ જીલ્લાનો માલ મેડ ઇન પંચમહાલ બનીને વિદેશમાં ગયો. પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે લોકોને ખબર પડી પંચમહાલ પણ છે. હું વર્ષોથી તમારી વચ્ચે રહ્યો છું એટલે ધરતીની તાકાત શું છે તે ખબર પડી જાય મારી તાકાત શું છે તમને ખબર પડે. આવનાર દિવસમાં હાલોલ-કાલોલનો રોડ ખૂબ મોટો બનશે. આ ડબલ એન્જિનની સરકાર વડોદરા, કાલોલ, હાલોલ, ગોધરા, દાહોદ આ પાંચ શહેર હાઇટેક એન્જિનયરિંગ મેન્યુફેક્ચરિંગનો કોરિડોર બનશે. દાહોદમાં હિન્દુસ્તાનના સૌથી શક્તિશાળી રેલ્વે એન્જિન બનાવવાનું કારખાનું બનાવવાનું કામ શરૂ થયું છે. સાવલીમાં કેનેડાની કંપની રેલ્વેની આધુનિક બોગી બનાવે છે. વડોદરામાં હવાઇ જહાજ બનાવાનું કામ શરૂ થવાનું છે. આ પટ્ટામાં સાઇકલ, મોટરસાઇકલ, રેલ્વેની બોગી, રેલ્વેનું એન્જિન, હવાઇ જહાજ બનવાનું છે એટલે તમારી પાંચેય આંગળી ઘીમાં છે એટલે એક આંગળીથી કમળનું બટન દબાવવું પડે કે નહીં તેમ સવાલ કર્યો.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં આઇટીથી લઇ સેમિકન્ડક્ટરમાં પણ ઝડપથી કામ થઇ રહ્યું છે. દોડ લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ ગુજરાતમાં સેમિકન્ડક્ટર માટે આવી રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગોને સશકત કરવા આપણા ભુપેન્દ્રભાઇ પટેલની ભાજપ સરકારે જે બિઝનેસ પોલિસી બનાવી છે તેના કારણે અનેક વિકાસના નવા અવસર આવવાના છે. આપણી વિરાસત પર ગર્વ થવો જોઇએ. આપણે પાવગઢ આવીએ અને પાવાગઢની દુર્દર્શા જોઇએ ત્યારે હૈયુ કંપી જતું હતું. શિખર ન હોય, ધ્વજ ન ફરકે અને 500 વર્ષ પહેલા જે અપમાન થતું પરંતુ હવે સન્માન વધે તે માટે કામ કર્યું. ગુજરાતની આસ્થા, ગૌરવ જાળવવાનું કામ ભાજપ સરકારે કર્યું. આ કોંગ્રેસને ગુજરાતની આસ્થા, શ્રદ્ધા પર અપમાન થાય તે માં જ મજા આવે. કોંગ્રેસ ચૂંટણી હારે તેમાં માનસિક સંતુલન ગુમાવવું ન જોઇએ, હાર જીત તો ચાલ્યા કરે અમારો પણ એક સમય હતો કે અમારી ડિપોઝીટ જતી હતી પણ અમે કોઇ દિવસ આવું નહોતા કરતા.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું ગુજરાતનો દીકરો છું. તમે જ મારા શિક્ષક છો, તમે મને જે ગુણ આપ્યા છે તે કામ કરવાનો પ્રયત્ન કરું છું. પણ કોંગ્રેસ વાળા લોકોને ગુજરાતે જે મને સંસ્કાર અને આશીર્વાદ આપ્યા છે તેનાથી તકલીફ થાય છે. વાર તહેવારે મોદીને ગાળો બોલે છે. કોંગ્રેસ પાર્ટીએ રિમોટ કંટ્રોલથી ચાલતા એક નેતાને મોકલ્યા અને નેતા બોલ્યા કે, આ ચૂંટણીમાં મોદીને એની ઔકાત બતાવી દેવામાં આવશે. આપણે ગુજરાતના પછાત વર્ગના લોકોની શું ઔકાત હોય આપણે તો સેવક છીએ. આ ગુજરાત રામ ભકતોનું છે કોંગ્રેસ ને ખબર નથી રામ ભકતોની સામે કોંગ્રેસના નવા પ્રમુખ ખડગે મોદીને 100 માથા વાળો રાવણ કહ્યું આ કોંગ્રસ પાર્ટી રામના અસ્તિત્વનો જ સ્વીકાર નથી કરતી. આ કોંગ્રેસને અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવામાં પણ રસ ન હતો. કોંગ્રેસને રામ સેતુ સામે વાંધો હતો. કોંગ્રેસના લોકોએ મોદીને ડઝન બંધ ગાળો આપી છે પરંતુ કોંગ્રેસના નેતાઓ કયારેય ભુલ સ્વીકારતા નથી. મોદીને ગાળો આપવી તે કોંગ્રેસ તેમનો અધિકાર સમજે છે. કોંગ્રેસને લોકતંત્ર પર ભરોસો નહીં પરંતુ એક પરિવાર પર છે અને પરિવાર માટે જે કરવું પડે તે એક ફેશન બની ગઇ છે. કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોદીને વધારે અને તીખી ગાળો બોલે. જે મોદીને ગુજરાતે ઘડયો હોય તેનું અપમાન એ ગુજરાતની જનતાનું અપમાન છે કે નહીં તેમ સવાલ કર્યો. કોંગ્રેસ જેટલું કિચડ ફેંકશે તેટલું કમળ વધારે ખીલશે.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ આદિવાસી સમાજના કલ્યાણ માટે કામ કરી રહી છે. અટલ બિહારી વાજપેયીની સરકારે આદિવાસી સમાજ માટે નવું મંત્રાલય બનાવ્યું. પરંતુ કોંગ્રેસે આદિવાસી લોકોના શોર્યને ક્યારેય મહત્વ ન આપ્યું. આદિવાસી વિદ્યાર્થીઓ વધુ સારું ભણે તે માટે સરકારે કામ કર્યું. આજે આદિવાસી ક્ષેત્રમાં દસ હજાર શાળાઓ બનાવી છે. બે યુનિવર્સિટી બનાવી છે. ગોધરામાં મેડિકલ કોલેજ બનાવી છે. પંચમહાલ જિલ્લામાં પીએમ આવાસ યોજનામાં 60 હજાર કરતા વધુ ઘરો બનાવ્યા છે. ગરીબ પરિવાર માટે આયુષ્યમાન ભારત યોજના બનાવી. જેથી પાંચ લાખ સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકે.
