બાલાસિનોર વિધાનસભા બેઠક પરિણામ: કોંગ્રેસના ગઢમાં ભાજપે ભગવો લહેરાવ્યો, માનસિંહ ચૌહાણે 51 હજારથી વધુ મતથી જીત મેળવી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 05:45 PM (IST)Updated: Thu, 08 Dec 2022 10:07 PM (IST)
balasinor-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-mansinh-chauhan-bjp-vs-ajitsinh-chauhan-congress

બાલાસિનોર વિધાનસભા બેઠક પરિણામ 2022 (balasinor Assembly Constituency Election Result 2022 Result): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણે 51,422 માર્જીનથી જીત મેળવી છે. બાલાસિનોર બેઠક પરથી છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસની જીતતી આવતી હતી. જો કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારના મત તૂટ્યા હતા.

આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી, ત્યારે મહિસાગર જિલ્લાની બાલાસિનોર બેઠક પર ભાજપના માનસિંહ ચૌહાણને 92,501 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણને 41,079 મત તો આપના ઉદેસિંહ ચૌહાણને 39,569 મત મળ્યા છે.

બાલાસિનોર બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ મળેલા મત
માનસિંહ ચૌહાણ ભાજપ 92,501
અજીતસિંહ ચૌહાણ કોંગ્રેસ 41,079
ઉદેસિંહ ચૌહાણ આપ 39,569
મગનસિંહ પરમાર જનસંઘ પાર્ટી 636
અશ્વિન ખાંટ ગરવી ગુજરાત પાર્ટી 3049
ચન્દ્રસિંહ ઝાલા અપક્ષ 658
કીરીટસિંહ ઝાલા અપક્ષ 600
નટવરસિંહ ચાવડા અપક્ષ 1427

કેટલા ટકા મતદાન થયું
બાલાસિનોર બેઠક પર 147776 પુરુષ અને 140475 મહિલા મતદારો તથા અન્ય 6 મળી કુલ 288257 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 62.63 ટકા મતદાન થયું છે.

બાલાસિનોર બેઠકની રસપ્રદ વિગત
બાલાસિનોર અથવા વાડાસિનોર મહીસાગર જિલ્લામાં આવેલું એક નગર છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 121 નંબરની બેઠક છે. બાલાસિનોર ખાતે બાલાસિનોર તાલુકાનું મુખ્ય મથક આવેલું છે જે પંચમહાલ લોકસભા સીટમાં આવે છે. બાલાસિનોર તાલુકાની એક તરફ સાબરકાંઠા જિલ્લો તેમજ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે. પૂર્વ દિશામાંથી મહી નદી પસાર થાય છે. અહીં વણાકબોરી ખાતે વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર આવેલ છે.ભારતની આઝાદી પૂર્વે, બાલાસિનોર બાલાસિનોર નામે રજવાડું હતું જે બાબી વંશ, મરાઠા તેમજ અંગ્રેજોના શાસન હેઠળ રહી ચુક્યું હતું.

અહીંના વેપારીઓની તેમજ ઉત્પાદકોની શાખ ઘણાં વર્ષો પહેલાં દેશ-વિદેશમાં હતી. બાલાસિનોરમાં જોવાલાયક સ્થળો જોઈએ તો સુદર્શન તળાવ, કેદાર મહાદેવ, ભીમભમરડા, હનુમાન ટેકરી, કેડીગઢ મહાકાલી મંદિર, જુનુ પ્રાચીન લીલવણીયા મહાદેવ મદિર, અંબાજી મંદિર છે, આ ઉપરાંત બાલાસિનોરથી અંદાજીત 13 કિલોમીટર દૂર પશ્ચિમ દિશાએ કઠલાલ તાલુકાનું ધાર્મિક સ્થળ ફાગવેલ ગામ છે. ત્યાં ભાથીજી મહરાજનું સુપ્રસિદ્ધ યાત્રા ધામ આસ્થાનું કેન્દ્ર છે. તેમજ બાલાસિનોર તાલુકામાં અંદાજીત 13 કિલોમીટર તાલુકા મથકથી ઉત્તર દિશાએ ભારતનું નંબર-1 અને વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનાશોર ફોસીયલ પાર્ક મ્યુઝીયમ ફેઝ-1 અને ફેઝ-2 છે. જે પ્રવાસન ક્ષેત્રી અગત્યનું સ્થળ છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 પુરુષ અને 0 મહિલા મળી કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 3 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. બાલાસિનોર બેઠક પરથી છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસની જીત થતી આવી છે. માનસિંહ ચૌહાણ 1995, 1998 ભાજપ તરફથી તો 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયા હતા. જો કે, 2017માં માનસિંહ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. તેમની છાપ પક્ષપલટું નેતા તરીકે થઈ જતાં લોકોએ માનસિંહને વોટ આપવાને બદલે કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણ પર જીતનો કળશ ઢોળ્યો હતો.