7માં પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ પૂરો થયો, આ 7 ફેરફારોની સરકારી કર્મચારીઓના પગાર-પેન્શન પર સૌથી વધુ અસર થયેલી

7મા પગાર પંચની સૌથી સ્પષ્ટ અસર મૂળભૂત પગારમાં જોવા મળી. લેવલ 1ના કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા 7,000થી વધીને રૂપિયા 18,000 થયો, જે આશરે 157 ટકાનો વધારો દર્શાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 03 Jan 2026 07:55 PM (IST)Updated: Sat 03 Jan 2026 07:55 PM (IST)
7th-pay-commission-ends-after-10-years-impact-on-salaries-pensions-and-what-comes-next-667394

7th Pay Commission Ends: 31 ડિસેમ્બરના રોજ 7માં કેન્દ્રીય પગાર પંચના 10 વર્ષ પૂરા થયા છે. આ લગભગ 1.2 કરોડ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ વળાંક છે. લોકો હવે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષમાં તેમના પગાર અને પેન્શનમાં કેવી રીતે ફેરફાર થયો છે અને તેઓ 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષા રાખી શકે છે.

7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં અમલમાં આવ્યું હતુ. આ 10 વર્ષોમાં કર્મચારીઓના પગાર, ભથ્થાં અને નિવૃત્તિ લાભો નક્કી કર્યા છે. ચાલો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવેલા સાત સૌથી મહત્વપૂર્ણ ફેરફારોને જોઈએ.

મૂળભૂત પગારમાં મોટો ઉછાળો

7મા પગાર પંચની સૌથી સ્પષ્ટ અસર મૂળભૂત પગારમાં જોવા મળી. લેવલ 1ના કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા 7,000થી વધીને રૂપિયા 18,000 થયો, જે આશરે 157 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો 2.57ના ફિટમેન્ટ ફેક્ટરને કારણે થયો હતો. ઉચ્ચતમ લેવલ 18 પર મૂળભૂત પગાર રૂપિયા 90,000 થી વધીને રૂપિયા 2.5 લાખ પ્રતિ માસ થયો જે આશરે 178 ટકાનો વધારો દર્શાવે છે.

પરંપરા મુજબ શરૂઆતમાં મોંઘવારી ભથ્થું (DA) શૂન્ય હતું. દસ વર્ષ પછી DA હવે 58 ટકા પર પહોંચી ગયું છે. તાજેતરમાં તેમાં 3 ટકાનો વધારો થયો છે, જે 7મા પગાર પંચ હેઠળ છેલ્લો DA વધારો હતો.

2.57 નું ફિટમેન્ટ ફેક્ટર શા માટે આટલું મહત્વનું હતું?

સાતમા પગાર પંચમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો 2.57નો ફિટમેન્ટ ફેક્ટર હતો. આ ફેક્ટરનો ઉપયોગ જૂના પગારને નવા પગાર મેટ્રિક્સમાં રૂપાંતરિત કરવા માટે કરવામાં આવ્યો હતો. સરળ શબ્દોમાં કહીએ તો નવો બેઝિક પગાર જૂના બેઝિક પગારને 2.57 વડે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવ્યો હતો. આ એક જ નિર્ણયથી દરેક સ્તરે પગાર અને પેન્શન પર નોંધપાત્ર અસર પડી.

ભથ્થાં ઉમેર્યા પછી ઘણા કર્મચારીઓની કુલ આવક 10 વર્ષમાં લગભગ 55 ટકા વધી, ખાસ કરીને નવા અને જુનિયર કર્મચારીઓ માટે.

ભથ્થાંમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો

7મા પગાર પંચે ફક્ત મૂળ પગારમાં વધારો જ નહોતો કર્યો. ઘર ભાડું ભથ્થું, પરિવહન ભથ્થું અને અન્ય ઘણા વિશેષ ભથ્થાંની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી. કેટલાક ભથ્થાં ઉમેરવામાં આવ્યા હતા, કેટલાક બદલાયા હતા અને કેટલાકને મર્યાદિત કરવામાં આવ્યા હતા.

તેના પરિણામે ઘણા કર્મચારીઓના ઘરે લઈ જવાના પગાર તેમની પોસ્ટિંગ, વિભાગ અને શ્રેણીના આધારે બદલાતા રહ્યા. આ જ કારણ છે કે કેટલાકને નવું પગાર માળખું તેમના અગાઉના પગાર માળખા કરતા નોંધપાત્ર રીતે અલગ લાગ્યું.

ટેક્સ ફ્રી ગ્રેજ્યુટી વધીને રૂપિયા 25 લાખ

ગયા વર્ષે જ્યારે ડીએ મૂળ પગારના 50 ટકા સુધી પહોંચ્યો ત્યારે કેન્દ્ર સરકારે કરમુક્ત ગ્રેચ્યુઇટી મર્યાદા રૂપિયા 20 લાખથી વધારીને રૂપિયા 25 લાખ કરી. આ ફેરફાર 1 જાન્યુઆરી, 2024 થી અમલમાં આવ્યો.

નિયમો મુજબ જ્યારે DA 50 ટકા સુધી પહોંચે છે ત્યારે બધા ભથ્થાંમાં 25 ટકાનો વધારો કરવામાં આવે છે.

નવી પેન્શન યોજના (UPS) શરૂ કરવામાં આવી

કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2025 થી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરી. આ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આશરે 2.3 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક વૈકલ્પિક નિવૃત્તિ યોજના છે. આ યોજનામાં સશસ્ત્ર દળોના કર્મચારીઓનો સમાવેશ થતો નથી.

UPS NPS અને જૂની પેન્શન યોજના બંનેની સુવિધાઓને જોડે છે. તે ફુગાવા માટે સમાયોજિત માસિક પેન્શનની ગેરંટી આપે છે. ઉદાહરણ તરીકે 10 વર્ષની સેવા માટે દર મહિને ઓછામાં ઓછા રૂપિયા 10,000 પેન્શનની ગેરંટી આપવામાં આવે છે.

NPSમાં સરકારનું યોગદાન વધ્યું

7મા પગાર પંચ બાદ સરકારે વર્ષ 2019માં કર્મચારીઓના NPSમાં યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કર્યું. વધુમાં કર્મચારીઓને ફંડ મેનેજર અને રોકાણ વિકલ્પો પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળી.

કલમ 80C હેઠળ ટાયર II ખાતાઓને કર લાભો આપવામાં આવ્યા હતા, અને ઉંમર પ્રમાણે રોકાણ બદલનાર લાઈફ સાયકલ ફંડ્સ પણ શરૂ કર્યું. આ ફેરફારોએ NPS ને વધુ આકર્ષક બનાવ્યું.

હવે આગળ શું: 8મું પગાર પંચ

નવા પગાર પંચ પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે. સામાન્ય રીતે પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં 18 થી 24 મહિનાનો સમય લાગે છે. એકવાર અહેવાલ રજૂ થયા પછી, નિર્ણય સરકાર અને બજેટ પર આધાર રાખે છે. કેટલીકવાર કર્મચારીઓને પાછલી અસરથી લાભ આપવામાં આવે છે.