પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો ભગવાન ભોળાનાથનો ભક્તિભાવથી પૂજન અર્ચન કરે છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સમગ્ર ભારત દેશમાં અતિ પવિત્ર એવા 12 જ્યોર્તિલિંગો ઉપરાંત ઘણા પ્રાચીન શિવમંદિરો આવેલા છે. ગુજરાતમાં પણ અનેક શિવમંદિરો છે. આવું જ એક પ્રાચીન અને પવિત્ર શિવમંદિર અમરેલી જિલ્લામાં આવેલું છે. અમરેલી જિલ્લામાં આશરે 200થી વધારે વર્ષો જૂનું નાગનાથ મહાદેલ લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક સમાન છે. આજે ગુજરાતી જાગરણ તેની મંદિરોની સિરીઝમાં વાચકોને 200 વર્ષ પ્રાચીન નાગનાથ મહાદેવ મંદિર વિશે માહિતી આપીશું
નાગનાથ મહાદેવ મંદિરનું ધાર્મિક મહત્વ
અમરેલી શહેરની મધ્યમાં બિરાજમાન એવા નાગનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસની શરુઆતમાં જ ભક્તોની ભારે ભીડ છે. નાગનાથ મહાદેવ મંદિર શહેરની મધ્યમાં આવેલું છે. જ્યારે આ મંદિરની સ્થાપના થઈ ત્યારે તે પહેલાના સયમાં અહીં અમરેલી શહેરની બહારનો સીમ વિસ્તાર હતો. અહીં પશુપાલકો પોતાના પશુઓ ચરાવવા આવતા હતા. કાળક્રમે આ મંદિરનો વિકાસ થતાં આ મંદિરનો પણ સાથે વિકાસ થયો હતો. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. સ્વંયભૂ નાગનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.
શ્રી નાગનાથ મહાદેવ મંદિરનો ધાર્મિક ઈતિહાસ
અમરેલીના મધ્યમાં વિરાજમાન નાગનાથ મહાદેવ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો, જૂના જમાનામાં વડોદરાના રાજા મહારાજ સયાજીરાવ ગાયકવાડના શાસન હેઠળ અમરેલી આવતું હતું. ત્યારે તેમના સૂબા વિઠ્ઠલરાવ દિવ નાગનાથ હતા. સૂબા પાસે અનેક ગાયો હતી. પરંતુ એક ગાય એવી હતી. જે ઓછું દૂધ આપતી હતી. સૂબા વિઠ્ઠલરાવની ગાયો ચરાવતા ભરવાડે જોયું કે ગાય એક ચોક્કસ જગ્યાએ જઈને દૂધની ધારા વહાવી દેતી હતી. ગોવાળ આ દ્રશ્ય જોઈએ અચંભિત થઈ ગયો હતો. જ્યારે આ સ્થળ પર ખોદકામ કરવામાં આવ્યુ ત્યારે મહાદેવના સ્વયંભૂ શિવલિંગનું પ્રાકટ્ય થયું હતું.
એક પ્રચલિત લોકવાયકા મુજબ, નાગનાથ મહાદેવના આશીર્વાદથી દિવના સુબાના પુત્રની ગુમાવેલી આંખોની રોશની પરત આવી હતી. નાગનાથ મંદિરના પરિસરમાં આવેલો પ્રાચીન શિલાલેખ અમરેલી શહેરના નામકરણનો મહત્વનો પુરાવો છે. આ શિલાલેખમાં અમરેલીનો ઉલ્લેખ 'અમરવલ્લી' તરીકે કરવામાં આવ્યો છે. સમય જતાં અમરવલ્લી શબ્દનો અપભ્રંશ થઈને આજનું 'અમરેલી' નામ અસ્તિત્વમાં આવ્યું છે. ઉપરાંત
સંત ભોજા ભગતે મંદિરનું બીડું ઝડપ્યું
મંદિરની પ્રાણ પ્રતિકૃતિ અને પ્રતિષ્ઠા સમયે એક વિશેષ ઘટના બની હતી. જ્યારે મંદિરનું બીડું કોઈનાથી પણ ચડી રહ્યું નહોતું, ત્યારે સંત જલારામ બાપાના ગુરુ અને નજીકના ફતેપુર ગામે આશ્રમ ધરાવતા સંત ભોજા ભગત (ભોજલરામ બાપા)ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના પવિત્ર હસ્તે જ આ મંદિરનું બીડું સફળતાપૂર્વક ચડાવવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં છોટે જલારામ તરીકે ખ્યાતિ પામેલા પૂજ્ય સંત હરિરામબાપાએ નાગનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આ મંદિરના સાનિધ્યમાં જ પોતાનો દેહ ત્યાગ્યો હતો. તેમની સ્મૃતિમાં મંદિર પાસે હરીરામબાપા સર્કલ બનાવવામાં આવ્યું છે અને આજે પણ નાગનાથ બસ સ્ટેન્ડ પાસે નિયમિતપણે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે .
શ્રી નાગનાથ મહાદેવ મંદિરનો દર્શન અને સમય
- સવારે 6:00 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી
- બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા
નાગનાથ મહાદેવ મંદિર કેવી રીતે પહોંચવું?
રોડ માર્ગ દ્વારા
ગુજરાતના તમામ મોટા શહેરો જેવા કે,રાજકોટ, અમદાવાદ અને ભાવનગરથી એસ.ટી બસો અને ખાનગી વાહનોથી સરળતાથી પહોંચી શકાય છે. અમરેલી બસ સ્ટેન્ડ મંદિરની પાસે આવેલ છે. નાગનાથ મહાદેવના મંદિર સુધી પહોંચવા માટે ઓટોરિક્ષા મળી રહે છે.
ટ્રેન દ્વારા
અમરેલી નજીક લિલિયા (15 કિ.મી.) અને સાવરકુંડલા જેવા સ્ટેશનો નજીક છે. તેમજ મુખ્ય જંક્શન તરીકે નજીકના રેલવે સ્ટેશનથી મંદિર સુધી અન્ય વાહનો અને ઓટો દ્વારા આવી શકાય છે.
વિમાન દ્વારા
નાગનાથ મહાદેવ મંદિર સુધી પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટનું છે. રાજકોટ એરપોર્ટ અમરેલીથી આશરે 112 કિમી દૂર આવેલુ છે. વિમાન મથકથી ટેક્સી કે બસ દ્વારા પહોંચી શકાય છે.
નાગનાથ મહાદેવ મંદિરની આસપાસના ફરવાલાયક સ્થળો
- રાજમહેલ
- ભોજલધામ
- ગાંધી બાગ
- કુંભનાથ અને સુખનાથ મહાદેવ મંદિર
- શ્રી ગલધરા ખોડિયાર મંદિર
- અંબારડી સફારી પાર્ક
- ગીર સિંહ અભયારણ્ય (ધારી
- ભુરખીયા હનુમાનજી મંદિર
