Shravan Maas 2026 Last Day: શ્રાવણ માસના અંતિમ દિવસે કરો લઘુ રુદ્રાભિષેક પૂજા, જાણો પૂજાવિધિ અને સામગ્રીનું લિસ્ટ

Shravan Maas 2026 Last Day: 11 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રાવણ માસ પૂર્ણ થઈ રહ્યો છે. શ્રાવણ અમાસના દિવસે કરાતી લઘુ રુદ્રાભિષેક પૂજાનું મહત્વ, તેની સંપૂર્ણ વિધિ અને જરૂરી પૂજા સામગ્રીનું લિસ્ટ અહીં જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 10 Sep 2026 11:48 AM (IST)Updated: Thu, 10 Sep 2026 11:48 AM (IST)
shravan-maas-2026-last-day-laghu-rudrabhishek-puja-vidhi-samagri

Shravan Maas 2026 Last Day: પવિત્ર શ્રાવણ માસ હવે પૂર્ણતાના આરે છે. વર્ષ 2026માં 13 ઓગસ્ટ (ગુરુવાર) ના રોજ શરૂ થયેલા અને કુલ 4 સોમવાર ધરાવતા આ પાવન મહિનાનું સમાપન 11 સપ્ટેમ્બર, 2026 (શુક્રવાર) ના રોજ અમાસના શુભ દિવસે થવા જઈ રહ્યું છે. શ્રાવણના અંતિમ દિવસે શિવભક્તો વિવિધ મહાદેવ મંદિરોમાં અને પોતાના ઘરે 'લઘુ રુદ્રાભિષેક પૂજા'નું આયોજન કરતા હોય છે. ચાલો જાણીએ આ પૂજાનું ધાર્મિક મહત્વ, પૂજા સામગ્રી અને તેની સંપૂર્ણ વિધિ વિશે.

લઘુ રુદ્રાભિષેક પૂજા શું છે?

લઘુ રુદ્રાભિષેક પૂજા એ એક પવિત્ર વૈદિક વિધિ છે. આ પૂજામાં યજુર્વેદમાંથી રુદ્ર સૂક્તના પાઠ દ્વારા ભગવાન શિવની કૃપા મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને શિવલિંગ પર પાવન અભિષેક કરવામાં આવે છે. "લઘુ" શબ્દનો અર્થ છે 'સંક્ષિપ્ત' અથવા 'સરળ'. આ પૂજા વાસ્તવમાં મહા રુદ્રાભિષેકનું ટૂંકું પરંતુ અત્યંત શક્તિશાળી સ્વરૂપ છે.

લઘુ રુદ્રાભિષેક પૂજા કોણે અને શા માટે કરવી જોઈએ?

આ પૂજા આધ્યાત્મિક અને ભૌતિક એમ બંને પ્રકારના લાભ પ્રદાન કરે છે. ખાસ કરીને નીચે મુજબની પરિસ્થિતિઓનો સામનો કરતા લોકો માટે આ પૂજા અત્યંત લાભદાયી માનવામાં આવે છે:

  • આર્થિક અને વ્યાવસાયિક વૃદ્ધિ: જે લોકો આર્થિક મુશ્કેલીઓ અથવા નોકરીમાં અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે, તેમના માટે આ પૂજા ધનલાભ અને વ્યવસાયિક સફળતાના દરવાજા ખોલે છે.
  • સ્વાસ્થ્ય લાભ: દીર્ઘકાલીન બીમારીઓથી પીડાતા અને માનસિક તણાવ અનુભવતા લોકો માટે આ પૂજા રાહતરૂપ સાબિત થાય છે.
  • પારિવારિક શાંતિ: કુટુંબમાં કે લગ્નજીવનમાં સંઘર્ષનો સામનો કરતા લોકોના વિવાદો દૂર કરી, સંબંધોમાં સદ્ભાવના પુનઃસ્થાપિત કરે છે.
  • આધ્યાત્મિક શાંતિ: આ પૂજા નકારાત્મક ઊર્જાઓને દૂર કરી, આત્માની શુદ્ધિ કરે છે અને પૂર્વજન્મના કર્મબંધનોથી મુક્તિ અપાવવામાં સહાય કરે છે.

લઘુ રુદ્રાભિષેક પૂજા કેવી રીતે કરવામાં આવે છે?

  • પૂજાની શરૂઆતમાં ભક્ત ભગવાન શિવ સમક્ષ પોતાનું નામ, ગોત્ર અને પૂજાનો હેતુ જણાવીને સંકલ્પ લે છે.
  • પવિત્ર કળશની સ્થાપના કરી તેને દૈવી ઉપસ્થિતિના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે.
  • શિવલિંગને દૂધ, પાણી, દહીં, મધ, ઘી અને ખાંડ જેવા પવિત્ર પદાર્થોથી સ્નાન કરાવવામાં આવે છે. આ દરમિયાન યજુર્વેદના શક્તિશાળી રુદ્ર મંત્રોનો પાઠ થાય છે.
  • અભિષેક પૂર્ણ થયા બાદ ભગવાનને ફૂલ અર્પણ કરી, મંત્રોચ્ચાર સાથે આરતી ઉતારવામાં આવે છે.
  • અંતે, શિવજીના આશીર્વાદરૂપે ઉપસ્થિત ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

લઘુ રુદ્રાભિષેક પૂજા માટે સામગ્રી

  • થાળી - 5 નંગ
  • વાટકી - 5 નંગ
  • ચમચી - 5 નંગ
  • તાંબાનો કળશ - 1 નંગ
  • પંચામૃત - 1 વાટકી
  • ગાયનું દૂધ - 500 ML
  • શેરડીનો રસ - જરૂરી પ્રમાણમાં
  • લીલું શ્રીફળ - 1 નંગ
  • આરતી માટેની થાળી - 1 નંગ
  • ઘી - જરૂરી પ્રમાણમાં
  • બેસવા માટે આસન - દરેક યજમાન માટે
  • ગણપતિજીની મૂર્તિ - હોય તો લાવવી
  • માતાજીની મૂર્તિ - હોય તો લાવવી
  • શિવલિંગ અથવા શિવજીની મૂર્તિ - હોય તો લાવવી
  • ફળ - 2 નંગ