Randhan Chhath 2026 Muhurat: ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોનું અનેરું મહત્વ છે, જેમાં 'રાંધણ છઠ' વિશેષ સ્થાન ધરાવે છે. શીતળા સાતમના બરાબર એક દિવસ પહેલાં રાંધણ છઠ ઉજવવાની વિશિષ્ટ પરંપરા છે. વર્ષ 2026 માં રાંધણ છઠનો તહેવાર 2 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. રાંધણ છઠ એ કોઈ સ્વતંત્ર તહેવાર નથી, પરંતુ તે દેવી શીતળાને સમર્પિત ધાર્મિક પર્વ 'શીતળા સાતમ' ની તૈયારીઓનો જ એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. ચાલો જાણીએ આ દિવસની તિથિ, પૂજા અને રસોઈ માટેના શુભ મુહૂર્ત તથા તેનું ધાર્મિક મહત્વ.
રાંધણ છઠ 2026 ક્યારે છે?
શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવાની અને ચૂલો સળગાવવાની સખત મનાઈ હોય છે. આથી, મોટાભાગના ગુજરાતી પરિવારો છઠના દિવસે જ બીજા દિવસ માટેનું તમામ ભોજન તૈયાર કરી લે છે. રસોઈ સાથે જોડાયેલી આ પરંપરાને કારણે જ આ દિવસનું નામ 'રાંધણ છઠ' પડ્યું છે.
- રાંધણ છઠ: બુધવાર, 2 સપ્ટેમ્બર 2026
- શીતળા સાતમ: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026
- ષષ્ઠી તિથિ પ્રારંભ: 2 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 06:12 વાગ્યે
- ષષ્ઠી તિથિ સમાપ્ત: 3 સપ્ટેમ્બર 2026 ના રોજ વહેલી સવારે 04:25 વાગ્યે
રસોઈ અને પૂજા માટેના શુભ મુહૂર્ત કયા છે?
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:51 થી 05:36 સુધી
- પ્રાતઃ સંધ્યા: સવારે 05:14 થી 06:22 સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 02:45 થી 03:35 સુધી
- ગોધૂલિ મુહૂર્ત: સાંજે 06:56 થી 07:19 સુધી
- સાંય સંધ્યા: સાંજે 06:56 થી 08:05 સુધી
- અમૃત કાળ (રસોઈ માટેનો શ્રેષ્ઠ સમય): રાત્રે 09:06 થી 10:38 સુધી
- નિશિતા મુહૂર્ત: મધ્યરાત્રિ 12:16 થી 01:02 સુધી (3 સપ્ટેમ્બરની શરૂઆતમાં)
વિશેષ શુભ યોગ: આ ઉપરાંત, 3 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 01:43 થી 06:22 સુધી 'સર્વાર્થ સિદ્ધિ યોગ' અને 'રવિ યોગ' નો મહાસંયોગ પણ બની રહ્યો છે, જે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
રાંધણ છઠના દિવસે કઈ વાનગીઓ બને છે?
રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત થઈ જાય છે. આ દિવસે ખાસ કરીને થેપલા, બાજરાના વડા, મીઠી અને તીખી પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, પાત્રા, ભરેલા ભીંડા, કંકોડાનું શાક, તળેલા મરચાં, તીખી સેવ, ખીર અને વિવિધ મિષ્ટાન જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. આ તમામ વાનગીઓ બીજા દિવસે શીતળા માતાની પૂજા કર્યા બાદ 'ટાઢા' ભોજન તરીકે આરોગવામાં આવે છે.
ચૂલો શા માટે ઠારવામાં આવે છે?
તમામ વાનગીઓ રાંધી લીધા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલા કે ગેસ સ્ટવની સાફ-સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ ચૂલાની પૂજા કરી તેને ઠારવામાં આવે છે. લોકવાયકા મુજબ, શીતળા સાતમના દિવસે શીતળા માતા ઘરે-ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. આથી માતાને શીતળતા મળે તે માટે ચૂલો ઠંડો રાખવામાં આવે છે. ચૂલો ઠંડો કર્યા પછી સાતમના દિવસે તેનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. સાતમ પછીના દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભક્તિભાવપૂર્વક ઉજવાય છે.
