પૂરી ઊંઘ લીધ પછી પણ દિવસભર આવે છે ઝોકા? શરીરમાં આ વિટામિનની હોઈ શકે છે ઉણપ

રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ દિવસ દરમિયાન વારંવાર ઊંઘ આવે છે? વિટામિન B12ની ઉણપ પણ તેનું એક સંભવિત કારણ હોઈ શકે છે. જાણો B12ની ઉણપના લક્ષણો અને કયા ખોરાકમાંથી મળે છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 15 Sep 2026 11:56 AM (IST)Updated: Tue, 15 Sep 2026 11:56 AM (IST)
vitamin-b12-deficiency-excessive-daytime-sleepiness-symptoms-foods

Vitamin B12 Deficiency: ઘણા લોકોને રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ બીજા દિવસે સતત થાક અને ઊંઘનો અનુભવ થાય છે. બપોરે ઊંઘ આવવી સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો દિવસભર વારંવાર ઝોકા આવે અને કામ દરમિયાન પણ ઊંઘ આવતી રહે તો તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાં શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ પણ એક સંભવિત કારણ છે. ખાસ કરીને વિટામિન B12ની ઉણપને કેટલીક પરિસ્થિતિઓમાં થાક અને વધારે ઊંઘ સાથે જોડવામાં આવે છે.

દિવસ દરમિયાન વધારે ઊંઘ આવવાનું કારણ શું હોઈ શકે?

વિટામિન B12 શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. તે લાલ રક્તકણોની રચના, DNA બનાવવાની પ્રક્રિયા અને નર્વસ સિસ્ટમના સામાન્ય કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં B12નું પ્રમાણ ઓછું થઈ જાય તો થાક, નબળાઈ અને ઊર્જાની કમી જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં દિવસ દરમિયાન વધારે ઊંઘ આવવાની ફરિયાદ પણ જોવા મળી શકે છે.

જોકે, માત્ર B12ની ઉણપને જ સતત ઊંઘ આવવાનું કારણ માનવું યોગ્ય નથી. પૂરતી ઊંઘ ન મળવી, સ્લીપ એપનિયા, ઊંઘના સમયપત્રકમાં ગડબડ, કેટલીક દવાઓની અસર અથવા ડિપ્રેશન જેવી સ્થિતિઓ પણ દિવસ દરમિયાન વધુ ઊંઘ આવવાનું કારણ બની શકે છે.

વિટામિન B12ની ઉણપથી શું સમસ્યાઓ થઈ શકે?

શરીરમાં લાંબા સમય સુધી B12ની ઉણપ રહે તો એનિમિયા, સતત થાક, નબળાઈ અને ચક્કર જેવી તકલીફો થઈ શકે છે. કેટલાક લોકોને હાથ-પગમાં ઝણઝણાટ અથવા નસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. જીભમાં સોજો અથવા બળતરા જેવી તકલીફ પણ B12ની ઉણપ સાથે જોડાયેલી હોઈ શકે છે.

B12 કયા ખોરાકમાંથી મળે?

વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીજન્ય ખોરાકમાં જોવા મળે છે. દૂધ અને દૂધની બનાવટો, ઈંડા, માછલી અને માંસ તેના જાણીતા સ્ત્રોત છે. જે લોકો પ્રાણીજન્ય ખોરાક લેતા નથી તેમના માટે B12થી ફોર્ટિફાઇડ ખાદ્ય પદાર્થો અથવા સપ્લિમેન્ટ્સ વિકલ્પ બની શકે છે, પરંતુ સપ્લિમેન્ટ લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.

જો તમને પૂરતી ઊંઘ લીધા પછી પણ સતત દિવસ દરમિયાન ઊંઘ આવતી હોય, ખૂબ થાક લાગતો હોય અથવા આ સમસ્યા રોજિંદા કામને અસર કરતી હોય તો માત્ર વિટામિનની ઉણપ માનીને સારવાર ન કરવી. યોગ્ય કારણ જાણવા માટે ડૉક્ટરની સલાહ અને જરૂરી તપાસ કરાવવી વધુ યોગ્ય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. સતત ઊંઘ, થાક અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યા રહેતી હોય તો યોગ્ય તપાસ અને સલાહ માટે ડૉક્ટરનો સંપર્ક કરવો.