Sabudana Thalipeeth Recipe: ઋષિ પંચમીના ઉપવાસમાં ફરાળી વાનગીઓમાં સાબુદાણાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. જો તમે દર વખતે સાબુદાણા ખીચડી કે વડા બનાવીને કંટાળી ગયા હો, તો આ વખતે સાબુદાણા થાલીપીઠ બનાવી શકો છો. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ થાલીપીઠ ચા સાથે નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને દહીં સાથે પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
સાબુદાણા થાલીપીઠ બનાવવાની સામગ્રી
- સાબુદાણા – 1 કપ
- બાફેલા બટાકા – 2 મધ્યમ
- શેકેલી મગફળીનો ભૂકો – ½ કપ
- લીલા મરચાં – 2 થી 3 ઝીણા સમારેલા
- જીરું – 1 ચમચી
- કોથમીર – 2 ચમચી
- સિંધાલૂણ – સ્વાદ મુજબ
- લીંબુનો રસ – 1 ચમચી
- ખાંડ – ½ ચમચી
- તેલ – થાલીપીઠ શેકવા માટે
સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત
સૌથી પહેલાં સાબુદાણાને સારી રીતે ધોઈને 4થી 5 કલાક માટે પાણીમાં પલાળી રાખો. સાબુદાણા નરમ થઈ જાય પછી વધારાનું પાણી કાઢી લો. હવે એક વાસણમાં સાબુદાણા, બાફેલા મેશ કરેલા બટાકા, શેકેલી મગફળીનો ભૂકો, લીલા મરચાં, જીરું, કોથમીર, સિંધાલૂણ અને લીંબુનો રસ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લો.
હવે તૈયાર મિશ્રણમાંથી થોડો ભાગ લઈને તેને ગોળ કરીને હાથથી થાલીપીઠનો આકાર આપો. નોન-સ્ટિક તવા પર થોડું તેલ લગાવીને થાલીપીઠ મૂકો અને તેને હળવા હાથે દબાવીને થોડું પાતળું કરો. વચ્ચે નાના કાણાં પાડી તેમાં થોડું તેલ નાખો.
હવે થાલીપીઠને મધ્યમ આંચ પર એક બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને પલટાવી બીજી બાજુ પણ સરસ રીતે શેકી લો. બંને બાજુ સારી રીતે શેકાઈ જાય એટલે તેને તવામાંથી કાઢી લો. ગરમાગરમ સાબુદાણા થાલીપીઠને દહીં અથવા ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. આ રીતે ઓછા પ્રયત્નમાં ઋષિ પંચમીના ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને પેટ ભરાય એવો નાસ્તો તૈયાર થઈ જશે.
ટિપ્સ
સાબુદાણા થાલીપીઠ ક્રિસ્પી બનાવવા માટે સાબુદાણામાં વધારે પાણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. મગફળીનો ભૂકો પણ ખૂબ જ ઝીણો ન કરવો, થોડો દાણાદાર રાખવાથી થાલીપીઠનો ટેસ્ટ સારો આવે છે. ઉપવાસ માટે બનાવતા હો તો તેમાં સામાન્ય મીઠાની જગ્યાએ સિંધાલૂણનો ઉપયોગ કરો.
