Team India: વનડે વિશ્વકપ 2023માં ભારતીય ટીમે મેચ પછી સૌથી સારા ફીલ્ડરને એવોર્ડ આપવાની અનોખી પરંપરા શરુ કરી છે. આ એક મેડલ છે, જે દરેક મેચ બાદ ફીલ્ડિંગ સમયે સારા પ્રદર્શન કરનારા ખેલાડીને આપવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ કંઈક હદે ખરાબ પણ જોવા મળી, પરંતુ અંતે રવિન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું.
પહેલા આ મેડલ સૂર્યકુમાર યાદવની પાસે હતો અને તેણે રવિન્દ્ર જાડેજાને આ એવોર્ડ આપતાં કહ્યું કે- ચિત્તાની ચાલ, બાજ જેવી નજર અને રૉયલવધનની ફીલ્ડિંગથી કોઈ નથી બચી શકતું.
ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં રવિન્દ્ર જાડેજાએ ત્રણ મહત્વના કેચ પકડ્યા હતા. તેણે દબાણમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું અને સર્વશ્રેષ્ઠ ફીલ્ડરનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. હવે સૌથી શ્રેષ્ઠ ફીલ્ડરનું મેડલ તેની પાસે છે. જાડેજાએ આ મેચમાં સૌથી પહેલા ગ્લેન ફિલિપ્સનો મહત્વનો કેચ પક્ડયો અને ભારતની જીત લગભગ નિશ્ચિત કરી હતી. જે બાદ માર્ક ચેપમેનનો કેચ પણ જાડેજાએ પકડ્યો હતો. અને અંતે તેણે ડેરિલ મિચેલનો કેચ પકડ્યો હતો.
જાડેજા ઉપરાંત લોકેશ રાહુલે પણ શાનદાર વિકેટકીપિંગ કરી હતી. તેણે આ મેચમાં ચાર કેચ પકડ્યા. સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માએ પણ આ મેચમાં મહત્વના કેચ પકડ્ય હતા. જો કે રોહિતથી એક કેચ છૂટ્યો પણ હતો. તો સૂર્યાએ આખી મેચમાં શાનદાર ફીલ્ડિંગ કરી હતી. તેણે એક કેચ પકડવાની સાથે કેટલાંક એક રન અને ચોગ્ગા પણ રોક્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં ભારતે પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની શાનદાર સેન્ચુરીથી 397 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ડેરિલ મિચેલે સેન્ચુરી અને વિલિયમ્સનની હાફસેન્ચુરીના જોરે સારી લડાઈ આપી હતી પરંતુ અંતે ટીમ ઈન્ડિયા 70 રને મેચ જીત્યું હતું. ભારત તરફથી શમીએ શાનદાર બોલિંગ કરતા 7 વિકેટ લીધી હતી. ભારત ચોથી વખત વનડે વિશ્વકપની ફાઈનલમાં પહોંચ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
