Rohit Sharma: ભારતીય ટીમના ભૂતપૂર્વ વનડે કેપ્ટન રોહિત શર્માએ 2023 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર અંગે ખુલીને વાત કરી છે. હિટમેને ખુલાસો કર્યો હતો કે આ હાર બાદ તે એટલા બધા ભાવુક અને નિરાશ થઈ ગયા હતા કે તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા વિશે પણ વિચાર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2023ના ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું, જે ભારતીય ચાહકો અને ખેલાડીઓ માટે મોટો આંચકો હતો.
ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન છતાં ફાઇનલમાં નિષ્ફળતા
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલ સિવાયની તમામ મેચો જીતી હતી. રોહિતે પોતે આ ટુર્નામેન્ટ દરમિયાન 11 મેચોમાં 54.27ની સરેરાશ અને 125.94ના સ્ટ્રાઈક રેટથી 597 રન બનાવ્યા હતા. ફાઇનલ મેચમાં ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની શાનદાર ઇનિંગ રમીને ભારત પાસેથી જીત છીનવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક છ વિકેટ બાકી રહેતા આસાનીથી હાંસલ કરી લીધો હતો.
વર્લ્ડ કપ જીતવો એ જ હતું એકમાત્ર લક્ષ્ય
રોહિત શર્માએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 2022માં ટીમની કમાન સંભાળ્યા બાદ તેમનું એકમાત્ર લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું હતું, પછી તે T20 હોય કે 2023નો વનડે વર્લ્ડ કપ. જ્યારે ફાઇનલમાં હાર મળી, ત્યારે તેમને અને આખી ટીમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે મેદાન પર શું થયું છે. તેથી હાર બાદ તેમના શરીરમાં બિલકુલ ઉર્જા બચી નહોતી અને તે માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. તેમને આ આઘાતમાંથી બહાર આવવા અને ફરીથી મેદાન પર પરત ફરવા માટે કેટલાક મહિનાઓનો સમય લાગ્યો હતો.
હારના દર્દમાંથી બહાર આવીને T20 વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ
હારનું દર્દ એટલું ઊંડું હતું કે રોહિતને એક સમયે લાગ્યું હતું કે હવે તેમની પાસે રમતને આપવા માટે કંઈ બચ્યું નથી. જોકે તેમણે સ્વીકાર્યું કે જીવન અહીં સમાપ્ત થતું નથી અને આ અનુભવ તેમના માટે નિરાશાનો સામનો કરવા અને નવી શરૂઆત કરવા માટેનો એક મોટો પાઠ હતો. તે સમયે હાર સ્વીકારવી ખૂબ મુશ્કેલ હતી, પરંતુ તેમણે ધીરે ધીરે પોતાનું ધ્યાન T20 વર્લ્ડ કપ 2024 પર કેન્દ્રિત કર્યું અને ફરીથી પોતાની જાતને તૈયાર કરી હતી. તેમણે ફરીથી હિંમત ભેગી કરીને નવા પ્રવાસની શરૂઆત કરવાનો નિર્ણય લીધો.
