હૈદરાબાદની ફ્લાઇટ 4 કલાક મોડી પડતાં Mohammed Siraj ગુસ્સે થયો, જાણો પોસ્ટ કરીને શું કહ્યું

ટેસ્ટ સિરીઝ સમાપ્ત થતા જ મોહમ્મદ સિરાજ હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ફ્લાઇટ 4 કલાક મોડી પડી. આ કારણે ભારતીય પેસર ભડકી ઉઠ્યા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 27 Nov 2025 10:13 AM (IST)Updated: Thu 27 Nov 2025 10:33 AM (IST)
mohammed-siraj-criticises-air-india-express-over-flight-delay-after-guwahati-test-645316

Mohammed Siraj News: ટીમ ઈન્ડિયાને પોતાના ઘરમાં વધુ એક ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુવાહાટી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે 408 રનના મોટા અંતરથી મળેલી સૌથી મોટી અને શરમજનક હાર સાથે જ ભારતીય ટીમનો સિરીઝમાં 0-2થી સફાયો થઈ ગયો. ટીમના પ્રદર્શનથી ચાહકો ગુસ્સે છે અને ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. આ સિરીઝમાં ભારતીય પ્લેઇંગ-11નો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ એક અલગ કારણોસર ચર્ચામાં છે.

હૈદરાબાદની ફ્લાઇટ 4 કલાક મોડી પડી

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પોતપોતાના ઘર અથવા વનડે સિરીઝ માટે રવાના થયા હતા. મોહમ્મદ સિરાજ ભારત-સાઉથ આફ્રિકા વનડે સિરીઝનો ભાગ ન હોવાથી તેઓ ટેસ્ટ સિરીઝ સમાપ્ત થતા જ પોતાના શહેર હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા. જોકે તેમને એર ઇન્ડિયાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

મોહમ્મદ સિરાજ ગુસ્સે થયો

સિરાજને ગુવાહાટીથી હૈદરાબાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX 2884 માં જવાનું હતું, પરંતુ તે ફ્લાઇટ 4 કલાક મોડી પડી. આ કારણે ભારતીય પેસર ભડકી ઉઠ્યા હતા. તેમણે પોતાના 'એક્સ' (X) એકાઉન્ટ પર એરલાઇન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. સિરાજે રાત્રે 11:33 વાગ્યે પોસ્ટ કરીને લખ્યું કે ફ્લાઇટ IX 2884ને 7:25 વાગ્યે ઉપડવાનું હતું, પરંતુ એરલાઇન તરફથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. વારંવાર પૂછવા છતાં તેમણે કોઈ યોગ્ય કારણ વગર ફ્લાઇટ ડિલે કરી દીધી. સિરાજે આ અનુભવને 'ખૂબ જ નિરાશાજનક' ગણાવ્યો અને કહ્યું કે ફ્લાઇટ 4 કલાકથી મોડી છે અને હજુ પણ કોઈ માહિતી ન હોવાથી અમે અટવાયેલા છીએ. તેમણે તેને સૌથી ખરાબ એરલાઇન અનુભવ ગણાવ્યો.

એરલાઇન તરફથી સ્પષ્ટતા
ભારતીય સ્ટાર ક્રિકેટરની પોસ્ટ બાદ એર ઇન્ડિયાએ લગભગ 40 મિનિટ પછી તેમના પોસ્ટનો જવાબ આપ્યો. એરલાઇને જણાવ્યું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. એરલાઇને આ સ્થિતિ માટે માફી માંગતા જણાવ્યું કે તેમની ટીમ એરપોર્ટ પર તમામ મુસાફરોને જરૂરી વ્યવસ્થામાં સક્રિયપણે મદદ કરી રહી છે અને દરેક પ્રકારના અપડેટ તથા સપોર્ટ આપતી રહેશે.